ભાજપના કાર્યકરોએ માસ્કનો દંડ એડવાન્સમાં ભર્યો હોય એમ સદંતર નિયમનો ભંગ કરે અને સામાન્ય નાગરીકને દંડતી પોલીસ દયનીય બની જોયા કરે તે દુઃખદ છે.
રથયાત્રા ના નીકળી શકે , કૃષ્ણ જન્મોત્સવ કે ગણેશોત્સવ ના ઉજવી શકાય, નવરાત્રિનો નિર્ણય અધ્ધર તાલ રખાય પણ પાટીલોત્સવ ઉજવાય પણ ખરો અને ગરબે ઘુમી આનંદાય પણ ખરો.લોકોને દુખ વહેચવા પર પ્રતિબંધ અને સી.આર.પાટીલને મળેલુ સુખ ઉજવવા કોઈ નડતર નહી.
સી.આર.પાટીલ પ્રમુખ થયા પછી થી જે રીતે બોલી રહ્યા છે અને મંત્રીઓને કમલમમાં હાજરી પુરાવવી પડશે તેવું કહી રહ્યા છે તે જોતા તેઓ માત્ર સંગઠનના જ નહી સરકારના પણ સુપર સી.એમ. હોય તેવુ લાગી રહ્યુ છે.સી.આર પાટીલ જે રીતે નિવેદનો કરે છે એ પ્રમાણે તેમના આવ્યા પહેલા પક્ષમાં લાલીયાવાડી જ ચાલતી હશે એવું લાગે છે. હવે જુથવાદ નહી ચાલે મતલબ તેમના આવ્યા પહેલા પાર્ટી જુથવાદથી ખદબદતી હતી એવું આડકતરી રીતે સ્વીકારી રહ્યા છે.
પ્રદેશ પ્રમુખ બન્યા પછી સુરતમાં તેમના આગમન સમયે આયોજીત સ્વાગતની રેલી સોશીયલ મીડીયા અને મીડીયાના દબાવથી રદ કરવી પડી હતી તેની દાઝ કોરોના ઉપર ઉતારતા હોય તેમ સી.આર. પાટીલ ફુલેકે ચઢ્યા છે. પક્ષ સંગઠન સાથે મિલન કાર્યક્રમ હોય તો બંધ હોલમાં સોશીયલ ડીસ્ટન્સ જાળવી થઈ જ શકે એમાં રોડ ઉપર સરઘસો કાઢવાની કે ગરબે ઘુમવાની જરૂર શુ તે સમજાતુ નથી. પેન્ડેમીક એક્ટ અને કોરોનાની ગાઈડલાઈન અભરાઈએ ચઢાવી જે રીતે ભાજપ સંગઠનને પાટીલના જાહેર સ્વાગતની ફરજ પડાઈ રહી છે તે જોતા એવુ લાગે છે કે ભાજપને જીતાડવા કરતા પ્રમુખ સાહેબને કોરોનાને જીતાડવામાં વધુ રસ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ પ્રમુખ અને સંગઠન સાથે જે પ્રજાને કોઈ લેવા દેવા જ નથી એને જાહેર માર્ગો પર સામાજીક અંતરની ધજ્જીયા ઉડાડી શા માટે જોખમ ઉભુ કરાય છે ? એ સમજાતું નથી. ભાજપ કાર્યકરોએ માસ્કનો દંડ એડવાન્સમાં ભર્યો હોય તે રીતે સદંતર નિયમનો ભંગ કરે અને હાજર પોલીસ ખાતુ દયનીય બની જોયા કરે તે દુઃખદ છે. ભાજપના આ ઉત્સાહી ભક્તો પર કાયદાનો કોઈ અંકુશ જ નહી. અરે કાયદાનુ ના માનો, વિજયભાઈનું તો નથી જ માનતા પણ મોદી સાહેબની વાત તો માનો. અમિતભાઈ શાહ વર્ચ્યુઅલ રેલી કરીને પણ કોરોનાથી બચી નથી શક્યા એ પરથી તો કોઈ બોધપાઠ પાટીલ અને ભાજપે ભણવો જોઈએ.
સામાજીક કે રાજકીય આગેવાનોએ લોકો માટે ઉદાહરણરૂપ બનવુ જોઈએ તેના બદલે ખુદ ખોટા દાખલા બેસાડે એ કેટલા અંશે વ્યાજબી ગણાય ? સામાન્ય માણસના પરિવારમાં કોઈ મરણ થયુ હોય તો તેની અંતિમ યાત્રામાં વીસ માણસ ના જઈ શકે અને ભાજપ પ્રમુખની સ્વાગત યાત્રામાં કોઈ નિયમ ના નડે આ કેવી વિડંબના ? લોકોને દુખ વહેચવા પર પ્રતિબંધ અને સી.આર.પાટીલને મળેલુ સુખ ઉજવવા કોઈ નડતર નહી. જયરાજસિંહ નું કહેવું છે કે સામાજીક પ્રસંગોમાં પચાસથી વધુ લોકો હોય તો કોરોના ફેલાય અને ભાજપ હજારોની ભીડ એકઠી કરે તો કોરોનાનું સંક્રમણ ના ફેલાય આ તે કેવુ ? રથયાત્રા ના નીકળી શકે , કૃષ્ણ જન્મોત્સવ કે ગણેશોત્સવ ના ઉજવી શકાય, નવરાત્રિનો નિર્ણય અધ્ધર તાલ રખાય પણ પાટીલોત્સવ ઉજવાય પણ ખરો અને ગરબે ઘુમી આનંદાય પણ ખરો. શુ માસ્ક માટે રોજના લાખો રૂપીયાના દંડ ભરતી પ્રજા આ ભુલી જશે ? સુખ દુઃખમાં અંતર જાળવી લેતી , બંધ મંદીરો બહાર દર્શન કરી લેતી , વાર તહેવાર પર મન મારતી પ્રજા ભાજપના આ પ્રદર્શનો અને મેળાવડાઓને સહી લેશે ?
પાટીલજી પ્રમુખ થયા પછી થી જે રીતે બોલી રહ્યા છે તે જોતા તેઓ માત્ર સંગઠનના જ નહી સરકારના પણ સુપર સી.એમ. હોય તેવુ લાગી રહ્યુ છે. સ્વભાવે જૂની પોલીસ સ્ટાઇલ હજુ ગઈ નથી. આમ કરવુ પડશે , આમ નહી ચાલે જેવી ભાષા માત્ર કાર્યકરો પુરતી નહી પક્ષના આગેવાનો મંત્રીઓ માટે પણ વાપરે એટલે સમજવુ રહ્યુ કે તેમના ખભે કોનો હાથ છે. બાકી વાઘાણી કે અન્ય કોઈ પૂર્વ પ્રમુખ અને મંત્રીઓ ના કામ બાબતે જવાબ લેવાની વાત કરતા કોઈએ સાંભળ્યા નહી હોય. પાટીલ સાહેબ એમ કહે કે વિજયભાઈ ને કહી દીધુ છે હવે મંત્રીઓએ સચિવાલય છોડી એક દીવસ કમલમમાં બેસશે. કાર્યકરો ના કામ ના લેખીત હા કે ના માં જવાબ આપશે.એક કોપી અમને મોકલશે અને અમે જોઈશુ કે કામ કરવા કે નહી કરવાના મંત્રીએ આપેલ કારણ બરોબર છે કે નહી. શુ આ સુપર સીએમ થવાની વાત નથી ? આટલુ ઓછુ હોય તેમ તેમના પક્ષમાં લાલીયાવાડી જ ચાલતી હોય એ પ્રકારના નિવેદનો પણ પાટીલ કરતા રહ્યા છે. હવે જુથવાદ નહી ચાલે મતલબ તેમના આવ્યા પહેલા પાર્ટી જુથવાદથી ખદબદતી હતી. કાગળ પર સંગઠન હવે નહી ચાલે મતલબ પહેલા આવુ પહેલા હતું. નેતાઓના ઝભ્ભા પકડી પક્ષમાં પદ મેળવવાની વૃત્તિ છોડવી પડશે મતલબ હાલ જેઓએ પદ મેળવ્યા છે તે ઝભ્ભાપકડુઓ જ છે . સૌથી ચોકાવનારી વાત સી.આર.પાટીલે એ કરી કે હવે કોંગ્રેસના આયાતીઓના ભરોસે ભાજપ નહી ચાલે મતલબ કાલ સુધી ભાજપ કોંગ્રેસ નિર્ભર હતુ. બીજો અર્થ એ પણ નીકળે કે તોડફોડ અને પક્ષપલ્ટાની વ્યુહરચનાકાર જે કોઈ હોય તેને પાટીલ ખોટા સાબિત કરી રહ્યા છે . હવે વ્યૂહરચના સાથે રૂપાણી વાઘાણીનો સ્નાનસુતકનો સંબધ નથી એ જગજાહેર બાબત છે તો આ વ્યુહ કોનો હતો જેને પાટીલ નકારી રહ્યા છે ? દીલ્હીથી પાટીલ ને એક કાંકરે બે પક્ષી મારવા મોકલ્યા હોય તેવુ લાગે છે. અમીતભાઈ નિતિનભાઈ આનંદીબેન નો ત્રિકોણીય જંગ ખતમ કરવાના અતિ ઉત્સાહમાં ભાજપનો એકડો ગુજરાતથી નીકળી જાય તો નવાઈ નહી. વિજય રૂપાણી એમ કહે કે સી.આર. ભાઈ ને ભરોસે રહે અને નિતિનભાઈ સી.આર. ને શુ ખબર હોય એમ કહી કાંકરીચાળો કરે તે દ્રશ્ય ભાજપમા બધુ સમુસુતરૂ નથી એની સાબિતી છે.