રેગ્યુલર જામીન અરજી મુદ્દે સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના જામીન ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધા છે. આગામી 5 જાન્યુઆરીએ યોજાનારી દૂધસાગર ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે વચગાળાના જામીન ડેરીની આપવાની માગ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. વિપુલ ચૌધરી દ્વારા કરાયેલી રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં તેમના વકીલે 5મી જાન્યુઆરીએ ચૂંટણી હોવાથી ત્યાં સુધીના વચગાળાના જામીન આપવામાં આવે એવી માગ કરી હતી. જોકે કોર્ટ દ્વારા આ માગને ફગાવી દેવામાં આવી છે. આ સિવાય રેગ્યુલર જામીન અરજી મુદ્દે સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે.
ચૂંટણીમાંથી ડિસ્ક્વોલિફિકેશન થયું ના હોવાથી જામીન આપવામાં આવે
વિપુલ ચૌધરી તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેમનું ચૂંટણીમાંથી ડિક્વોલિફિકેશન થયું નથી, જેથી તેમને વચગાળાના જામીન આપવામાં આવે. જોકે સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે CID ક્રાઈમની તપાસ મહત્ત્વપૂર્ણ તબક્કા પર છે અને અરજદાર વિપુલ ચૌધરી પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી તે ચૂંટણીને અસર પાડી શકે છે. હાઇકોર્ટે બંને પક્ષે દલીલ સાંભળ્યા બાદ વિપુલ ચૌધરીના જામીન ફગાવી દીધા છે.
વિપુલ ચૌધરીને માન્ય ઉમેદવાર તરીકે ગણી રાત્રે હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ
દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં જોડિયા દૂધ મંડળીની હાઇકોર્ટમાં ગુરુવારે સુનાવણી હાથ ધરાતાં કોર્ટે મંડળીને હાલપૂરતો ક-વર્ગ ધ્યાનમાં નહીં લેવા હુકમ કર્યો છે. જ્યારે ઉમેદવાર વિપુલ ચૌધરી સામે થયેલી વાંધા અરજીની મોડી સાંજે થયેલી સુનાવણી બાદ ચૂંટણી અધિકારીએ વિપુલ ચૌધરીને માન્ય ઉમેદવાર તરીકે ગણી રાત્રે હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે.
દૂધસાગર ડેરીની 5મી જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ જે મંડળીમાંથી ઉમેદવારી નોંધાવી છે એ જોડિયા દૂધ મંડળીને ક-વર્ગમાં લઇ જવા મુદ્દે હાઇકોર્ટમાં રિટ દાખલ કરાઇ હતી, જેની ગુરુવારે સુનાવણી હાથ ધરાતાં કોર્ટે હાલ પૂરતો મંડળીનો ક વર્ગ ધ્યાને ન લઇ આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે. જ્યારે ઉમેદવારી વખતે વિપુલ ચૌધરી સામે આવેલી વાંધા અરજી અંગે વીસનગર પ્રાંત કચેરીમાં હાથ ધરાયેલી સુનાવણીમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રાત્રે વિપુલ ચૌધરીને માન્ય ઉમેદવાર ગણી હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી.