નવી દિલ્હી
રાફેલનું ભૂત ફરીથી ધૂણી ઉઠ્યું છે. ફ્રાન્સના એક ઇન્વેસ્ટિગેટિવ ન્યુઝ પોર્ટલ મીડિયાપાર્ટ દ્વારા પબ્લિશ થયેલા રિપોર્ટમાં રાફેલ વિમાન સૌદા અંતર્ગત સુષેન ગુપ્તા નામના વચેટિયા દલાલને 65 કરોડ રૂપિયા કટકી તરીકે ચૂકવાય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એટલુંજ નહિ 2018ની સાલમાં સીબીઆઈના તત્કાલીન ડાઈરેક્ટર આલોક વર્માને મોરેશિયસના એટર્ની જનરલે આ કૌભાંડ અંગે પુરાવા સાથેનો પત્ર લખ્યો હોવાની વાત પણ સામે આવી છે. પરંતુ સીબીઆઈ દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આ પર્દાફાશ દ્વારા મોદી સરકારની ઈમાનદાર અને સ્વચ્છ છબી ઉપર છાંટા ઉડ્યા છે એમ કહેવામાં આવે તો ખોટું નથી. આ સ્થિતિમાં રાફેલ ડીલ અંગે કેટલાક મહત્વના સવાલો મોદી સરકાર સામે ઉઠે છે.
સવાલ 1. – રાફેલ સૌદામાં ભ્રષ્ટાચાર વિરોધી એક શરતને ક્યાં કારણસર હટાવી દેવાઈ?
એક તરફ મોદી સરકાર દાવો કરી રહી છે કે યુપીએ સરકારના સમયે વચેટિયા સુષેન ગુપ્તાને કમિશન મળ્યું હતું પરંતુ એ સમયે આ સોદો ન થઇ શક્યો. હવે જો મોદી સરકારને આ વાતની ગંધ આવી ગઈ હતી તો પછી સરકારે રાફેલ બનાવતી કંપની ‘દસોં’ સાથે સ્ટાન્ડર્ડ એગ્રીમેન્ટ માં અતિ મહત્વની કહી શકાય એવી ભ્રષ્ટાચાર વિરોધી શરતને શા કારણસર હટાવી દીધી?
સવાલ 2. – 2014ની સાલ પછી સુષેન ગુપ્તાનો રાફીલ ડીલમાં શું રોલ રહ્યો?
મીડિયાપાર્ટના રિપોર્ટ મુજબ 2015ની સાલ પછી પણ વચેટિયા સુષેન ગુપ્તા રાફેલ બનાવતી ‘દસોં’ કંપની સાથે વ્યવહાર ધરાવતો હતો. વિમાનની કિંમતને લઈને ભારતના રક્ષા મંત્રાલયની કમિટીના અતિ ગુપ્ત અને મહત્વના દસ્તાવેજો કંપનીને પુરા પડ્યા તો એ કેવી રીતે?
સવાલ 3 – સીબીઆઈએ તપાસ શા માટે ના કરી?
મીટીયાપાર્ટના રિપોર્ટ પ્રમાણે સીબીઆઈ અને ઇડી બંને પાસે ઓક્ટોબર 2018માં એ વાતના પુરાવા આવી ચુક્યા હતા કે ‘દસોં’ દ્વારા સુષેન ગુપ્તાને સાડા સાત મિલિયન યુરો એટલેકે 65 કરોડ રૂપિયાનું કમિશન ગુપ્ત રીતે, શેલ કંપનીના ઓઠા હેઠળ મોરેશિયસ ખાતે આપવામાં આવ્યું છે. આ કમિશન યુપીએ સરકારના સમયે નક્કી થયેલા 36 રાફેલ ફાઈટર વિમાનો માટેનું હતું. એટલુંજ નહિ જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ, યશવન્ત સિંહ તેમજ જાણીતા પત્રકાર અને પૂર્વ કેબિનેટ મંત્રી અરુણ શૌરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં રાફેલ સોદામાં ભ્રષ્ટાચારની તપાસની માગ કરતી અરજી કરાયી હતી. ત્યાર બાદ સીબીઆઈને એક લેખિત અરજી પણ ઓક્ટોબર 2018માં કરાઈ હતી જેમાં રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાથી તપાસની માગ કરાઈ હતી. તેમ છતાં સીબીઆઈએ શા માટે તાપસ ના કરી? મોરેશિયસના એટર્ની જનરલ તરફથી મળેલા દસ્તાવેજી પુરાવાના 10 દિવસ પછી તત્કાલીન સીબીઆઈ ડાઈરેક્ટર આલોક વર્માને અડધી રાત્રે અચાનક હટાવી દેવામાં કેમ આવ્યા?
સવાલ 4 – ‘દસોં’ કંપનીને બ્લેકલિસ્ટ કેમ ન કરાઈ?
‘કેગ’ના રિપોર્ટમાં જાણવા મળે છે કે 27 માર્ચ 2015ના રોજ એક ઈન્ડિપેન્ડન્ટ એક્સટર્નલ મોનિટર કમિટીએ જણાવ્યું હતું કે ‘દસોં’ કંપનીની પ્રપોઝલ ભારતની જરૂરિયાત મુજબના ધારાધોરણોને પુરી નથી કરતી. એ પ્રપોઝલ અધૂરી છે અને ભારત દ્વારા માગવામાં આવેલા ફોર્મેટ મુજબની નથી. મોદી સરકાર પાસે પૂરતા પુરાવાઓ હતા કે જેના કારણે ‘દસોં’ કંપનીને બ્લેકલિસ્ટ કરી શકાય. તો પછી શા માટે એ કંપનીને બ્લેકલિસ્ટ ના કરાઈ?