આમ આદમી પાર્ટી તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે અને સત્તારૂઢ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના વિકલ્પ તરીકે પોતાને રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. AAP ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલ 6 જૂને ગુજરાતની મુલાકાતે આવશે, જ્યાં તેઓ મહેસાણામાં રેલીને સંબોધિત કરશે.પાર્ટીના અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. છેલ્લા ત્રણ મહિનામાં કેજરીવાલની ગુજરાતની આ ચોથી મુલાકાત હશે, જ્યાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.
AAP નેતા અરવિંદ કેજરીવાલ સંભવતઃ મહેસાણામાં રોડ શો કરશે અને રેલીને સંબોધશે. મહેસાણા પાટીદારોનો ગઢ ગણાય છે. પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ 6 જૂને મહેસાણા આવશે. તેમના પ્રવાસની પુષ્ટિ થઈ ગઈ છે, જો કે તેમના પ્રવાસનું સત્તાવાર શેડ્યૂલ હજી જાહેર કરવામાં આવ્યું નથી.
AAP 182 સીટો પર ચૂંટણી લડવા માંગે છે..
પંજાબમાં પાર્ટીની પ્રચંડ જીત પછી, અરવિંદ કેજરીવાલે 2 એપ્રિલે અમદાવાદમાં ભગવંત માન સાથે રોડ શો કર્યો હતો અને 1 મેના રોજ ભરૂચમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના વડા છોટુ વસાવા સાથે આદિવાસી સંકલ્પ સંમેલનને સંબોધિત કર્યું હતું. આ પછી, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગઢ ગણાતા રાજકોટમાં 11 મેના રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેજરીવાલે ગુજરાતની જનતાને રાજ્યની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તક આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેમની પાર્ટી સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં ભ્રષ્ટાચારના ચક્રનો અંત લાવશે..
તમને જણાવી દઈએ કે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર નસીબ અજમાવનાર આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ખાતું પણ ખોલાવી શકી ન હતી. પરંતુ ફેબ્રુઆરી 2021ની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ની ચૂંટણીમાં તેના પ્રદર્શનથી રાજ્યમાં AAP ની આશાઓ વધી ગઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે 93 બેઠકો જીતી હતી જ્યારે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી. આમ આદમી પાર્ટી તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે અને પોતાને સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના વિકલ્પ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.