ગાંધીનગર— ગુજરાતમાં રાજ્યસભાની ત્રીજી બેઠક જીતવા માટે મરણિયા બનેલા ભાજપના નેતાઓને મહાત કરવા માટે કોંગ્રેસે રાજ્યમાં ફરી એકવાર રિસોર્ટ પોલિટીક્સ ની તૈયારી શરૂ છે. રાજ્યના 73 ધારાસભ્યો તેમજ કોંગ્રેસને સપોર્ટ કરનારા અપક્ષ ધારાસભ્યને ગુજરાત બહાર ખસેડવામાં આવી શકે છે.
કોંગ્રેસે એવો વ્યૂહ અપનાવ્યો છે કે 26મીએ રાજ્યસભાનું મતદાન શરૂ થાય તે સમયે તમામ ધારાસભ્યોને એકસાથે મતદાન માટે લઇ જવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવા માટે પાર્ટીના સિનિયર નેતાઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપ પાસે હાલ 103 ધારાસભ્યો છે અને તેમને બીજા ત્રણનો સપોર્ટ મળે તેમ છે. ભાજપને ત્રીજો ઉમેદવાર જીતાડવા માટે 111 સભ્યોની આવશ્યકતા છે. સૂત્રો કહે છે કે કોંગ્રેસના ધારાસભ્યોને મહારાષ્ટ્ર કે છત્તીસગઢ લઇ જવામાં આવશે.
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે હવે ચૂંટણી નિશ્ચિત થઇ ચૂકી છે. કોંગ્રેસના જૂના જોગી અને એક સમયના ભરતસિંહ સોલંકીના મિત્ર નરહરિ અમીને ખુદ મિત્ર માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. 26મી માર્ચે યોજાનારી ચૂંટણીમાં ચાર બેઠકો સામે પાંચ ઉમેદવારો છે. કોંગ્રેસને બીજા ઉમેદવાર માટે બે મતો ખૂટે છે ત્યારે ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન રાજ્યસભામાં જવા માટે એડીચોટીનું જોર લગાવી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમની પડખે ઉભા છે.
ભાજપે રાજ્યસભા માટે અભય ભારદ્વાજ અને રમિલા બારાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. ચાર બેઠકો માટે ચાર ઉમેદવાર હોત તો તેઓ વિજયી જાહેર થઇ ચૂક્યાં હોત પરંતુ સ્ટેટેજીના ભાગરૂપે ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉમેદવારી કરાવી છે. અમીનનું ગોત્ર કોંગ્રેસી છે તેથી કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોની સહાનુભૂતિ લેવા માટે ભાજપે આ દાવ ખેલ્યો છે.
કોંગ્રેસ હાઇકમાન્ડ પાસેથી દાવપેચ ખેલીને ભરતસિંહે રાજ્યસભાની ટિકીટ તો મેળવી લીધી પરંતુ તેમના માટે જીતવું કઠીન છે. કોંગ્રેસ પાસે વિધાનસભામાં 73 સભ્યો છે. કોંગ્રેસને એક મત અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો મળી શકે છે. બીટીપીના ત્રણ મતો ક્યાં જાય છે તે હાલ નક્કી નથી. આ સંજોગોમાં જો ભાજપ કોંગ્રેસમાંથી ત્રણ-ચાર મતો માટે ક્રોસવોટીંગ કરાવે તો કોંગ્રેસ પાસે 71 મતો રહે જેમાં એકડાના જોરે 37 મતોથી શક્તિસિંહ ગોહિલ ચૂંટણી જીતી જાય પરંતુ બીજા સભ્ય માટે બગડાના મતો ગણવામાં આવે.
કોંગ્રેસ પાસે બીજા સભ્ય માટે 34 મતો બચી શકે તેમ છે. બીજી તરફ ભાજપના 35 બગડા હોવાથી ભાજપના સભ્ય ચૂંટાઇ આવે. ભાજપ બીટીપીના બે અને એનસીપીનો એક મત મેળવે તો ભાજપને પાંચ મતોની જરૂરિયાત રહે છે. જો કે બગડાના ગણિતના કારણે ભાજપને કોંગ્રેસના ત્રણ મતો મેનેજ કરવાની જરૂરિયાત પડે તેમ છે. બગડાના ગણિત પ્રમાણે કોંગ્રેસને 34 મત મળે તેમ છે.
2017માં રાજ્યસભાની ચૂંટણીમાં જ્યારે અહમત પટેલ ઉભા હતા ત્યારે તેમને હરાવવા માટે ભાજપે શંકરસિંહ વાઘેલાના હાથો બનાવીને કોંગ્રેસના ધારાસભ્યો પાસે ક્રોસવોટીંગ કરાવ્યું હતું. એ વખતે પણ ભાજપે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને બળવાખોર નેતા બલવંતસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ હાલના બીટીપીના ધારાસભ્ય અને તે સમયે જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવાએ ભાજપની બાજી ઊંધી વાળી દીધી હતી અને પોતાના મિત્ર અહમદ પટેલને જીતાડી દીધા હતા.