ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા માટે પ્રયત્નશીલ બની ગઈ છે. એક વખત સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને હાલ રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને જ કોંગ્રેસ ભરૂચ લોકસભાની સીટ પરથી ઉભા રાખવાની રણનીતિ તૈયાર કરી રહી છે. અહેમદ પટેલને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરવા માટેનો તખ્તો કોંગ્રેસ તૈયાર કરી દીધો હોવાની માહિતી જાણવા મળી રહી છે.
રાજકીય ફલક જોઈએ તો અહેમદ પટેલે 1977થી કોંગ્રેસના યંગેસ્ટ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ પાછળ વળીને જોયું નથી. તેઓ છેક 1989 સુધી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ ત્યાર બાદ તેમણે લોકસભા લડવાનું માંડી વાળ્યું અને ગાંધી પરિવારની વિશ્વાસુ વ્યક્તિ તરીકે રાજ્યસભામાં પહોંચતા રહ્યા. 1993થી અહેમદ પટેલ સતત રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત છે.
40 વર્ષની રાજકીય સફરમાં અહેમદ પટેલને ફરીથી લોકસભાની ચૂંટણી લડાવવા માટે કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટે પણ ટવિટ કરીને જાણકારી આપી છે કે ભરૂચ લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અહેમદ પટેલની પસંદગીની સંભાવના છે.
શીલા ભટ્ટની ટવિટથી ભરૂચમાં રાજકીય માહોલમાં ગરમાટો આવી ગયો છે. લગભગ 30 વર્ષ બાદ અહેમદ પટેલ રાજ્યસભા ઉપરાંત ભરૂચ લોકસભાની ચૂંટણી માટે એક વાર નવેસરથી ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવા સમચારો પ્રરસતા કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોમ જોવા મળી રહ્યો છે.
ભરૂચ કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે કે અહેમદ પટેલ પોતે ભરૂચ લોકસભા લડે તો કોંગ્રેસ માટે આનાથી સારી બીજી કોઈ હોઈ શકે નહીં. રાજ્યસભાની ચૂંટણી વખતે જોવા મળેલો ઉત્સાહ અને ઉમંગ લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે અને કોંગ્રેસને આનાથી ફાયદો જ થવાનો છે.
અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા પણ બૂથ કાર્યકરો અને સામાજિક આગેવાનો સાથે મીંટીગ કરવામાં આવી રહી છે. ફૈઝલ પટેલે પોતે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ અટકળો એવી પણ છે કે જો અહેમદ પટેલ નહીં લડે તો આખરે ફૈઝલ પટેલ ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. કોંગ્રેસે મુસ્લિમને ટીકીટ આપવા માટે ભરૂચ લોકસભા સીટ પર પસંદગી ઉતારી છે. 2014માં નવસારી લોકસભા પર કોંગ્રેસે હારવા માટે મુસ્લિમને ટીકીટ આપી હતી.