ભાજપ સરકાર દ્વારા ભૂ માફિયાઓ ને બક્ષવામાં નહિ આવે તેવી જાહેરાત કરવામાં આવતા સબંધીઓ મૂછ માં મલકાઈ રહ્યા છે કારણ કે આવા કાંડ માં ભાજપ ના જ કેટલાક ઈસમો સામેલ હોવાની વાતો ચર્ચાઈ રહી છે.તેમાંય અમદાવાદ માં તો એક ચાલુ કોર્પોરેટરે એકજ જમીન ત્રણ વખત વેચી મારી વિદેશ ભેગા થઈ જતા ભારે ચકચાર ફેલાઈ છે.
જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ શાહવાડી ખાતે ના પ્લોટ નંબર 53,ફાઇનલ પ્લોટ નંબર 564,પૈકી 54 વાર જમીન 37800 રૂપિયામાં વેચાણ કરાર કરીને સોમાભાઈ ખોડાભાઈ પરમાર ને વેચાણ આપી કબજો સોંપેલ હતો.જે વેચાણ કરાર તારીખ 13/05/2003 ના રોજ વેચાણ કરાર નોટરી રીટા બેન ગાંધીના ચોપડે નોંધાયેલ છે.ત્યારબાદ આ જ જમીન કે જેનો સમાવેશ રે.સ. નંબર 564 ની હિસ્સા નંબર 1 અને 2 ની 13051 ચોરસ મીટર પૈકી અને શાહવાડી ટી.પી સ્કીમ નંબર 94 ના ફાઇનલ પ્લોટ નંબર 25 ની 7831 ચોરસ મીટર બિનખેતીની જમીન માં થયેલ હોય તે જ જમીન આ કોર્પોરેટર જયશ્રીબેન જાગરિયા અને તેમના પતિ અમરીશ જાગરિયા દ્વારા રાજ્યસ ફાઇન બિલ્ડ નામની ભાગીડદારી પેઢીને તારીખ 27/09/2010 ના રોજ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થી રૂપિયા 7 કરોડ 75 લાખમાં વેચાણ કરી ને એક ની એક જમીન બીજી વાર વેચી હતી.
આમ ભાજપ ના ચાલુ કોર્પોરેટર અને તેના પતિ દ્વારા કાયદાની એસીતેસી કરીને એક ની એક જમીન 2 વાર વેચવા છતાં સંતોષ ન થતા ફરી એક વખત તે જમીન નો 30 ચોરસ મીટર નો ખુલ્લો પ્લોટ 24/07/2020 માં રજીસ્ટર્ડ કરાવીને કેશુભાઈ કાળુભાઇ પરમાર ને 4 લાખ રૂપિયામાં વેચ્યો હતો,તથા 35 ચોરસ મીટર નો બીજો ખુલ્લો પ્લોટ રજીસ્ટર્ડ વેચાણ કરાર થી નયનાબેન વિનોદભાઈ સોલંકી ને 4 લાખ રૂપિયામાં વેચ્યો હતો.
આવી રીતે વારંવાર એક ની એક જમીન ઉપર વારંવાર વેચાણ કરતા કોર્પોરેટર જયશ્રીબેન જાગરિયા અને અમરીશભાઈ જાગરિયા હવે વિવાદ માં આવી ગયા છે.
આ કથિત કૌભાંડ ની જાણ રાષ્ટ્રીય નિર્માણસેના ના ગુજરાત પ્રદેશ પ્રમુખ અનિલ દાફડા ને ધ્યાને આવતા સ્થાનિક રહીશો જે ત્યાં રહે છે તેમની સાથે રહી ને આધાર પુરાવા શોધી ને વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા ગયા હતા પરંતુ ભાજપના કોર્પોરેટર નું નામ હોવાથી પોલીસે માત્ર અરજી લઈ ને અરજદાર ને જણાવેલ કે અમો તપાસ કરી ને આગળ જણાશે તો ફરિયાદ દાખલ કરશું.પરંતુ 4 દિવસ વીતી ગયા હોવા છતાં વાસણા પોલીસ દ્વારા હજુ કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી પોલીસ ની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઇ રહા છે.
સત્ય ડે ની ટીમ દ્વારા આ બાબતે વાસણા ના કોર્પોરેટર જયશ્રીબેન જાગરિયા અને તેમના પતિ અમરીશ જાગરિયા નો સંપર્ક કરતા જાણવા મળ્યુ હતું કે પતિ પત્ની બંને જણ હાલ અમેરિકા જતા રહ્યા છે.
નોંધનીય છે કે સરકાર દ્વારા તાજેતરમાં જજાહેરાત કરવામાં આવી હતી કે ભુમાફિયા જમીન કૌભાંડીઓ ને બક્ષવામાં નહીં આવે તો હવે એ જોવાનું રહ્યું કે ભાજપ પોતાના જ પક્ષ ના કોર્પોરેટર ઉપર આ બાબતે આગળ શુ પગલાં ભરશે.