અમદાવાદ: ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ ગૌતમભાઈ પટેલે આજે (9 ઓગસ્ટ) સવારે શીલજ ખાતે આવેલા તેના શાલીન બંગલોઝમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. બોપલ પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી. કામરિયાએ જણાવ્યું કે, ગૌતમભાઈ પટેલે પોતાના ઘરે ઉપરના માળે જઈ ગળેફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો હતો. જોકે, આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. ઘરમાંથી સૂસાઈડ નોટ મળી આવી નથી. આત્મહત્યા સમયે તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલવાની સાથે વધુ તપાસ હાથ સારી છે.