કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર અશોક પટેલ(અધેવાડા) માટે આમ જૂઓ તો લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની જૂથબંધી ફરી એકવાર મોટી મોકાણ સર્જનારી બની રહેલી જણાય છે. ચોક્કસ જૂથનો અશોક પટેલની ફરતે અડીંગો હોવાથી અન્ય કોંગ્રેસીઓ અશોક અધેવાડાથી આઘાપાછા થઈ ગયા હોવાની વાસ્તવિકતા બહાર આવી રહી છે.
કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ તળ સુરતમાં અશોક પટેલના રાઉન્ડ જોઈએ તેટલા ગોઠવાયા નથી. પ્રચાર પૂર્ણ થવાની આડે ગણતરીના ત્રણ દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારના તળ સુરતમાં જોઈએ તેવો પ્રચાર જોવા મળી રહ્યો નથી. કાર્યકરોમાં કોઈ પણ પ્રકારનો ઉત્સાહ જોવામાં આવી રહ્યો નથી. સ્થિતિ એ છે કે ચોક્કસ જૂથના હાથમાં ચૂંટણીનું સોંપી દેવામાં આવ્યું હોવાથી અન્ય જૂથના કાર્યકરો અને આગેવાનો નારાજ ચાલી રહ્યા છે અને તેઓ કોંગ્રેસની સભા અને પ્રચારથી સમૂળગી રીત દૂર થઈ ગયા છે.
સુરત બેઠકમાં પાટીદાર, મુસ્લિમ અને દલિત કોમ્બીનેશન ગોઠવાયું ન હોવાની ચાડી ખાય છે. પૂર્વ અને ઉત્તર વિધાનસભામાં કોંગ્રેસની યોજાયેલી એકાધિક સભામાં દલિત મતદારો જોવા મળ્યા નથી. કેટલાક કોર્પોરેટરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અશોક અધેવાડા માટે આ સ્થિતિ ચૂંટણીના માહોલમાં નુકશાનકારક સાબિત થાય એમ છે. અશોક અધેવાડાએ નારાજ આગેવાનો અને કાર્યકરો ઉપરાંત કોર્પોરેટરોને પણ સાથે લઈને ચાલવું પડે એમ છે. નહિંતર હાલત કફોડી બની શકે છે. જો 2009માં ધીરુ ગજેરાએ લડેલી ચૂંટણીની પેટર્ન પ્રમાણે ચૂંટણી લડવામાં આવ રહી હોવાથી કોંગ્રેસના અન્ય જૂથો અને આગેવાનો અને કાર્યકરોને પ્રચાર કાર્યમાં સામેલ નહીં કરાય તો ધાર્યા પરિણામ મેળવી શકાય એમ નથી.
મુસિલમો તો વોટ આપશે જ એવા ભ્રમમા રહેવાના બદલે મુસ્લિમો સુધી ઉમેદવાર એક વાર પણ પ્રચાર કરશે નહીં તો લોકસભાની ચૂંટણીમાં 2009 નહીં પણ 2014નું પુનરાવર્તન થવામાં વાર લાગશે નહીં એવું કોંગ્રેસના કાર્યકરો જણાવી રહ્યા છે.