પક્ષાંતર કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભાજપના બે નેતાઓ વચ્ચે બનાસકાંઠામાં જંગ જામ્યો છે. કેશાજી ચૌહાણ અને લીલાધર વાઘેલા હજુય પોતાની નિષ્ફળતાઓને ઢાંકવાનો પ્રયાસ કરી ટીકીટ માટે સમાજના નામે પક્ષનું નાક દબાવી રહ્યા છે.
જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજીએ ટિકિટ માટે જોર લગાવી દીધું છે. કેશાજી ટેકેદારો દ્વારા જાહેર કરાવી દીધું હતું કે, તેઓ જ આ બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર છે.
વિધાનસભા ચૂંટણીમાં અગાઉ કોંગ્રેસનું નાક દબાવવા ટેવાઈ ગયેલા કેશાજી ચૌહાણે ભાજપમાં પક્ષપલટો કર્યો હતો. ભાજપ પણ લીલાધર વાઘેલાને અંકૂશમાં રાખવા માટે તેમને લાવ્યા હતા. વિધાનસભાની ટિકિટ સાથે જિલ્લા ભાજપના પ્રમુખ તેમને બનાવી દેવાયા હતા. પછી પ્રધાન બનાવી દેવાયા હતા. તેથી તેમણે સંગઠન માટે કામ કરવાનું બંધ કરતાં વિધાનસભામાં તેમની બેઠક પરથી ભાજપની હાર થઈ હતી.
તેમ છતાં કેશાજીને ભાજપે સંગઠનની જવાબદારી આપી છે. પરાજય બાદ સત્તા વગર તેઓ રહી શકતાં ન હોવાથી તેઓ લીલાધરની જગ્યાએ લોકસભા જીતવા માંગે છે. કેશાજી હવે ફરી સમાજને જ ઢાલ બનાવી રહ્યા છે.
પ્રધાન બનતા જ છકી ગયેલા કેશાજીને સ્થાનિક લોકોએ પાઠ ભણાવીને હરાવ્યા હતા. કદાચ આ જ કારણે તેમને બીજી વાર ગાંધીનગર પણ નથી જવા દીધા. સાદગી અને સમાજના નામે કોંગ્રેસનું નાક દબાવવામાં સફળ રહેલા કેશાજી ભાજપમાં સાહેબ બન્યા બાદ સાદગી અને સમાજ બન્ને તેમનાથી દૂર જતાં રહ્યા છે. છે.
લીલાધર વાઘેલા પ્રત્યે પક્ષની નારાજગીનો સમાજના નામે લાભ ઉઠાવવા પોતાના માટે બળ પૂર્વકના પ્રયાસો કરી રહેલા કેશાજીથી અમિત શાહ અને નરેન્દ્ર મોદી પણ જાણે છે.
હાલ તો કેશાજી ચૌહાણ માટે પ્રથમ તો ટિકિટ જ દૂર લાગે છે પરંતુ જો સમાજની બીકે પક્ષ ટિકિટ આપી પણ દે તોય જીત માટે કેશાજી ને લોઢાના ચણા ચાવવા પડશે.