ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે ગુજરાતની વધુ ત્રણ બેઠકોના નામ જાહેર કર્યા છે. મહત્વની જાહેરાતમાં પોરબંદર બેઠક પરથી રાદડીયા પરિવારનું પત્તું સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવ્યું છે. એવું મનાતું હતું કે વિઠ્ઠલ રાદડીયાના સ્થાને તેમના નાના પુત્રને લોકસભાની સીટ આપવામાં આવશે પરંતુ ભાજપને રાદડીયા પરિવારની જર પણ સાંભળી નહીં અને રમેશ ધડૂકને પોરબંદરની ટીકીટ આપી છે.
પાછલા 30 વર્ષથી કોંગ્રેસ અને ભાજપના નેતાઓની સામે સીધી ફાઈટ કરનારના પોરબંદરના દબંગ નેતા વિઠ્ઠલ રાદડીયા હાલ પથારીવશ છે. તેમના જ્યેષ્ઠ પુત્ર જ્યેશ રાદડીયા ભાજપ સરકારમાં મંત્રી છે. જ્યારે લોકસભા માટે નાના પુત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર પણ કેમ્પેઈન કરવામાં આવ્યું હતું. પરંતુ ભાજપ હાઈકમાન્ડે રાદડીયા પરિવારની બાદબાકી કરી આ વખતે રમેશ ધડૂકને પોરબંદરમાંથી ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે.
જ્યારે અન્ય બે સીટમાં બનાસકાંઠા અને પંચમહાલના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠામાં પરબત પટેલને ટીકીટ આપવામાં આવી છે જ્યારે પંચમહાલમાંથી રતનસિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં જાહેર કરાયેલા તમામ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે આજે જાહેર કરાયેલા ત્રણ નામમાં નો-રિપીટેશન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. બનાસકાંઠા, પંચમહાલ અને પોરબંદરમાં ભાજપે નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે.
પંચમહાલના ભાજપના બહુ બોલકા સાંસદ અને વારેઘડીએ વિવાદ સર્જી દેનારા પ્રભાતસિંહ ચૌહાણની પણ ટીકીટ કાપી લેવામાં આવી છે. પ્રભાતસિંહે ભાજપ હાઈકમાન્ડ સામે અનેક વખત બાંયો ચઢાવી હતી. જ્યારે બનાસકાંઠામાંથી વર્તમાન સાંસદ અને કેન્દ્રીય ગુહ રાજ્ય મંત્રી રહેલા હરીભાઈ ચૌધરીને પણ ભાજપે ઘરે બેસાડી દીધા છે. બનાસકાંઠામાં ભાજપે પરબત પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે.