ચૂંટણીમાં જાત-જાતનું નવું બને છે. અણધાર્યા પરિણામો આવે છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપની હારમાં અનેક મહારથીઓ પરાસ્ત થયા છે ત્યારે ભાજપના સાંસદને પણ વિધાનસભાની ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે, જે દર્શાવે છે કે પ્રજા બધું સમજી-વિચારીને વોટ આપે છે.
મુરૈનાથી ભાજપના સાંસદ અનુપ મિશ્રાને પણ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હાર ખમવી પડી છે.
કોંગ્રેસ ઉમેદવાર લાખનસિંહ યાદવે મધ્યપ્રદેશની ભીતરવાર સીટ પર અનુપ મિશ્રાને 12,130 વોટથી પરાજિત કર્યા છે. લાખનસિંહે જીતની હેટ્રીક નોંધાવી છે. પરંતુ આ વખતે લાખનસિંહની જીત કોંગ્રેસ માટે બહુ મહત્વની બની રહી છે.
કારણ કે આ વખતે કોંગ્રેસ ઉમેદવારના પ્રતિસ્પર્ધી તરીકે ભાજપના નેતા અને વર્તામન સાંસદ અનુપ મિશ્રા હતા. અનુપ મિશ્રા સાંસદ હોવા ઉપરાંત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ભાણેજ છે. તેમને એમપીના મોટા નેતા તરીકે માનવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં અનુપ મિશ્રાએ મધ્યપ્રદેશની મુરૈના સીટને સારા એવા માર્જિનથી જીતી લીધી અને વિધાનસભાની ચૂંટણી હારી ગયા.
ભાજપના સાંસદની હાર દર્શાવે છે કે દેશભરમાંથી મોદી મોજું ઘટી ગયું છે અને મોદીની લોકપ્રિયતા પણ ઘટી રહી છે. નવાઈની વાત એ છે કે ભાજપના કેટલાક સાંસદો હવે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન સલમાત બેઠક શોધતા થઈ ગયા છે. ભાજપના કેટલાય સાંસદોએ 2019માં ચૂંટણી નહીં લડવાની ઈચ્છા દર્શાવી છે તો સાથી પક્ષો પણ ભાજપ સામે ધૂરકીયા કાઢી રહ્યા છે.