લોસકભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભાની બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે શકુર પઠાણના છોકરા શેરખાનને ટીકીટ આપી વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. હાલમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી(બીટીપી)ના ઉમેદવાર છોટૂ વસાવા પોતાને પીઠમાં ખંજર ભોંકાયું હોવાનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે છોટૂભાઈ વસાવા સાથે ટેલિફોન પર કેટલીક વાતચીત થઈ હતી.
છોટૂભાઈ વસાવાને પ્રશ્ન પૂછાયો હતો કે રાજ્યસભાની ચૂંટણી વખતે અહેમદ પટેલને ક્યા આધારે સમર્થન આપ્યું હતું કોઈ લોભ કે લાલચ હતી તો છોટૂભાઈએ કહ્યું કે રાજ્યસભાની ચૂંટણી વખતે કોઈ લોભ-લાલચ વિના અહેમદ પટેલને સમર્થન આપી વોટ આપ્યો હતો. હું પ્રથમથી જ કોંગ્રેસનો વિરોધી રહ્યો છું અને હિન્દુત્વ વર્સીસ મુસ્લિમ થઈ રહ્યું હતું તો મને એમ લાગ્યું કે અહેમદ પટેલને સાથ આપવો જોઈએ. આના સિવાય મારી બીજી કોઈ ભાવના ન હતી. લોભ-લાલચ વિના માત્ર અહેમદ પટેલને અહેમદ પટેલ હોવાથી સાથ આપ્યો હતો.
તેમણે પૂછાયું કે રાજ્યસભાની ચૂંટણીને ભાજપના નેતા બલવંતસિંહ કોર્ટમાં પડકારી છે તો કોર્ટ દ્વાર જૂબાની આપવા સમસન્સ આવ્યું છે કે કેમ? આ પ્રશ્નના જવાબમાં છોટૂભાઈએ કહ્યું કે કોર્ટ મને શું કામ બોલાવે. જોકે, હજુ સુધી મારા પર આવા કોઈ પણ પ્રકારનું સમસન્સ આવ્યું નથી.
અત્રે નોંધનીય છે કે 2017માં ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ છોટૂ વસાવાના વોટથી ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસના 14 ધારાસભ્યએ અહેમદ પટેલ સામે બળવો કર્યો હતો અને ભાજપને સમર્થન આપ્યું હતું તો કેટલાકે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી જ રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાનાં કારણે એવુ મનાતું હતું કે લોકસભાની ચૂંટણીમાં અહેમદ પટેલ છોટૂ વસાવાને સમર્થન કરી ગઠબંધનમાં ટીકીટ આપશે પરંતુ એવું બન્યું નહીં અને અહેમદ પટેલ શેરખાન નામના યુવાનને ટીકીટ આપી દીધી. સોશિયલ મીડિયામાં અત્યારથી જ શેરખાની હારની લીડની ચર્ચા કરવામાં આવી રહી છે.