લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં ભાજપે સુરત બેઠકને લઈ ખાસ્સી મથામણ કર્યા બાદ બે ટર્મથી સાંસદ રહેલા દર્શના જરદોષને ફરી ટીકીટ આપી છે. દર્શના જરદોષે ટીકીટ મેળવવામાં હેટ્રીક કરી છે.
સુરત બેઠક માટે એવું કહેવાતું હતું કે પાટીદારને આ વખતે ભાજપ ટીકીટ આપશે પરંતુ એવું બન્યું નહીં. મહેશ સવાણીનો હાઉ ઉભો કરવામાં આવ્યો. મોરારજી દેસાઈના પ્રપૌત્ર મધુકેશ્વર દેસાઈની પણ ચર્ચા થઈ અને છેલ્લામાં છેલ્લી રીતે વડાપ્રધાન મોદી સ્વંય સુરત બેઠક પરથી પણ ચૂંટણી લડે તેવી શક્યતા અને તર્ક-વિતર્ક કરવામાં આવ્યા પરંતુ આ બધી ચર્ચાઓમાંથી છેવટે દર્શના જરદોષે બાજી મારી લીધી છે.
જ્યારે મહેસાણા બેઠક પર ભાજપ મહિલા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ગુજરાત સરકારમાં મંત્રી રહે ચૂકેલા સ્વ. અનિલ પટેલના પત્ની શારદા પટેલને ટીકીટ આપી છે. આશા પટેલ પાસેથી રાજીનામું અપાવી તેમને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશેની વાતનો ફૂગ્ગો ફૂટી ગયો છે. આશા પટેલે હવે રાજકીય સન્યાસ જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. શારદા પટેલની ઉમેદવારીથી મહેસાણા ભાજપ અને પાટીદાર સમાજમાં નવેસરથી જોમ અને જુસ્સો આવશે એવી શક્યતા જોવા મળી રહી છે.