મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓમાં આપને પૂરા એક ટકો પણ મત ન મળ્યા એવું જાણવા મળ્યું હતું. અરવિંદ કેજરીવાલનો જાદુ બેમાંથી એક્કે રાજ્યમાં ચાલ્યો નહીં.
જો કે ભાજપની સ્થિતિ પણ બહુ સારી ન કહેવાય. એની બંને રાજ્યોમાં બેઠકો ઓછી થવા ઉપરાંત એની રાજકીય વગ ઘટી હોવાનું જોઇ શકાયું હતું. તમામ એક્ઝિટ પોલ્સે એવો વર્તારો જાહેર કર્યો હતો કે ભાજપ ધૂમધડાકાભેર બંને રાજ્યોમાં પુનરાગમન કરશે પરંતુ તમામ એક્ઝિટ પોલ્સે આ વખતે માર ખાધો હતો.
સૌથી વધુ નુકસાન આપ અને બસપાને થયું હતું. માયાવતીની હતાશાનો પાર નહીં રહ્યો હોય. અન્યત્ર તો ઠીક, ઉત્તર પ્રદેશમાં પણ બસપા ધાર્યાં પરિણામો મેળવી શકી નથી એ સૂચક હકીકત છે.
ભાજપના મનમાં એમ હતું કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં જ્વલંત વિજય મળશે એટલે 2020ના ફેબ્રુઆરીમાં થનારી પાટનગર દિલ્હીની વિધાનસભામાં એનો દેખાવ ઉજ્જવળ થશે પરંતુ હરિયાણાના ધબડકાએ ભાજપની નેતાગીરીને ચોંકાવી દીધી હતી. એથી પણ વધુ કફોડી સ્થિતિ આપની છે.
અત્યારે દિલ્હીમાં આપની સરકાર છે પરંતુ ફેબ્રુઆરીમાં શું થશે એની આગાહી અત્યારથી કરવામાં બહુ મોટું જોખમ છે કારણ કે મતદારો અકળ હોય છે. ભલભલા નેતાજીઓને મતદાર ઘરે બેસાડી દઇ શકે છે.
ભાજપ અને આપ બંને હવે ચૂંટણી પૃથક્કરણની બેઠક યોજવાના છે.