દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે યોજાનાર મતદાનના એક દિવસ પહેલા ચૂંટણી પંચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે આ નોટિસ સોમવારે એક વીડિયો શેર કરવાને લઇને ફટકારી છે.
કેજરીવાલે ત્રણ ફેબ્રુઆરીએ એક વીડિયો સાથે ટ્વીટ કર્યુ હતું. આ મામલે પંચે આઠ ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યા સુધી જવાબ માંગ્યો છે. કેજરીવાલે આ ટ્વીટના એક દિવસ બાદ ભાજપે 4 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. નોટિસ જાહેર કરતા ચૂંટણી પંચે માન્યુ કે વીડિયોમાં જે કંટેન્ટ હતો તે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે અને રાષ્ટ્રીય પાટનગરમાં સાંપ્રદાયિક સદભાવને બગાડી શકે છે.
30 જાન્યુઆરીએ પણ ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમના નિવેદનને લઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચેતવણી આપી હતી. 13 જાન્યુઆરીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોર્ટ પરિસરની અંદર મોહલ્લા ક્લિનિક ખોલવાનો દાવો કર્યો હતો, જેની પર તેમણે ચેતવણી આપવામાં આવી હતી. તે બાદ ચૂંટણી પંચ તરફથી 13 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલને નોટિસ આપવામાં આવી હતી. ત્યારે તેમણે એક જનસભાને સંબોધિત કરતા લોકોને કહ્યુ હતું કે અમે તમામ કોર્ટ અને બારની અંદર મોહલ્લા ક્લીનિક બનાવવા માટે તૈયાર છીએ. જો અમને જગ્યા આપે તો દરેક જગ્યાએ દરેક કોર્ટની અંદર મોહલ્લા ક્લીનિક બનાવીશું.