એ.આઈ.સી.સી.ના ગુજરાતના સંગઠન પ્રભારી શ્રી રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષારભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલ, સહિત ધારાસભ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ મહાનગરોના ૧૪૩ વોર્ડ, સમગ્ર ગુજરાતના ૧૦૯૬ જીલ્લા પંચાયત સીટ, ૫૨૭૪ તાલુકા પંચાયત સીટ અને ૮૧ નગરપાલિકાઓમાં મહા જન સંપર્ક અભિયાન અંતર્ગત રૂબરૂ જઈને પ્રજાને મળીને તેમના પ્રશ્નોની ચર્ચા કરશે તથા તેને આવનારી ચૂંટણીમાં જનતાના મેનીફેસ્ટોમાં સમાવી વાચા આપશે.
આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા કેમ્પેઈનની શરુઆત કરી દેવામાં આવી છે, મહાનગરોમાં હેલો કેમ્પેઈન બાદ હવે રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચાર અભિયાન શરુ કરવામાં આવશે, જે અંગે ચર્ચા કરતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, “આવતીકાલથી દસ દિવસ સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા મહાજનસંપર્ક અભિયાનની રાજ્યના જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા ક્ષેત્રમાં શરુઆત થશે. જેમાં આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી પ્રચાર તથા જનતાની સમસ્યાની વાતને લઈને જવાની વાત સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાલમાં અંતિમ તબક્કામાં છે, ઉમેદવારોમાં કોંગ્રેસ પક્ષ આ વખતે ૫૦ ટકા નવા ચહેરાઓને તક આપશે, સંગઠન સાથે જોડાયેલા, અલગ અલગ ફ્રન્ટ અને ડીપાર્ટમેન્ટ સાથે જોડાયેલા પદાધિકારીઓને ચૂંટણીમાં જવાબદારી આપવાની, તેમજ ચૂંટાયા બાદ પક્ષની સાથે ના રહેલા ઉમેદવારોને રીપીટ ના કરવાની સુચના આપી દેવામાં આવી છે, જેઓ લોકો વચ્ચે અને પક્ષમાં સક્રિય રહ્યા છે તેવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સાથે સાથે મોટી સંખ્યામાં નવા ચહેરાઓને પણ તક આપવામાં આવશે. સરકારના કાર્યક્રમો હજારોની સંખ્યામાં થાય છે પણ ત્યાં કોરોના પ્રોટોકોલનો સવાલ નથી રહેતો પણ માત્ર વિપક્ષના પ્રદર્શનોને મંજુરી ના આપવી તે સરકારનો એજન્ડા દર્શાવે છે. બાકી દરેક રાજ્યોમાં સત્તાપક્ષ અને વિપક્ષના પ્રોગ્રામ થઇ રહ્યા છે પણ માત્ર ગુજરાતમાં વિપક્ષનો અવાજ ઉઠવો જ ના જોઈએ તે દિશામાં સરકાર કામ કરી રહી છે પરંતુ આવનારી ચૂંટણીમાં સાચા અર્થમાં કોંગ્રેસ પક્ષ મજબુત લડાઈ આપશે અને સારામાં સારું પરિણામ મેળવશે.
મહાજનસંપર્ક અભિયાન અંગેની માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી, કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા, લોકોની તકલીફોને બુલંદ અવાજે ઉપાડી તેના નિરાકરણ માટે કોંગ્રેસે મહાનગરોમાં હેલ્લો કેમ્પેઈનની શરુઆત કરી, ટૂંકા સમયમાં હેલ્લો કેમ્પેઈનને પ્રચંડ પ્રતિસાદ મળ્યા બાદ આજે બીજા સ્ટેપ તરફ આગળ વધી રહ્યા છીએ. હેલ્લો કેમ્પેઈનથી જોવા મળ્યું કે, શાસકો અને પ્રજા વચ્ચે ખુબ મોટો કોમ્યુનિકેશન ગેપ છે, પ્રજાના પ્રશ્નો અને વાતને સરકાર સંભાળતી નથી તે વાતને લોકોએ અમારા સુધી પહોંચાડી છે. સરકાર ગમે તેટલી જાહેરાતો અને વાહવાહી કરે પણ આજના તબક્કે શહરો અને ગામોમાં સરકારના ગેરવહીવટ સામે આક્રોશ અને અસંતોષ છે તેને ધ્યાને રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા મલ્ટીપલ એપ્રોચ દ્વારા લોકો સુધી પહોંચવાનું કામ કરશે.
ગુજરાત કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો સાથે વોર્ડવાઈઝ અને ગામવાઈઝ બેઠકોનો કાર્યક્રમ શરુ કરવા જઈ રહ્યા છીએ, આવતીકાલે ૧૮ જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં મહજનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવશે, જેમાં પ્રદેશ કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહીત કુલ ૨૭૦ આગેવાનો ૧૮ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરીથી ગુજરાતના દરેક ખુણામાં કાર્યકરો અને પ્રજાજનો સાથે સંપર્ક કરશે. ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓ, ખેડૂતોની સમસ્યાઓ- હાડમારીઓ, વીજળી, સિંચાઈનું પાણી રસ્તા, પાણીના પ્રશ્નો, મંદી-મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પ્રજા વ્યથિત છે તે તમામ પ્રશ્નોને ઉજાગર કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં પણ રસ્તા-પાણી, માળખાગત સુવિધાના અભાવ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, શિક્ષણ-આરોગ્ય સહીતના પ્રશ્નોને વોર્ડ લેવલે મીટીંગ કરી ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ જનસંપર્ક અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના મહાનગરપાલિકા વિસ્તારોના ૧૪૫ વોર્ડ, નગરપાલિકા વિસ્તારોના ૬૮૪ વોર્ડ, ગ્રામ્ય વિસ્તારની ૪૭૦૦ તાલુકા પંચાયત બેઠકો અને ૧૭ હજાર ગામડાઓનો સંપર્ક કરવા સાથે સમગ્ર ગુજરાતના ૮૦ ટકા વિસ્તારોનો સીધો સંપર્ક કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં ખેડૂતો ભાજપના કૃષિ વિરોધી કાળા કાયદાઓથી ખબ નારાજ છે, આ કાયદાઓ વિષે ભાજપના લોકો ભ્રામક પ્રચાર કરી રહ્યા છે તેની સાચી હકીકત પહોંચાડવાનો પણ આ કાર્યક્રમથી પ્રયાસ થશે. કોંગ્રેસના કાર્યકરોને પ્રોત્સાહિત કરી, માર્ગદર્શિત કરી, લોકોના પ્રશ્નો સાંભળી, લોકોને સાથે રાખી આવનારી ચૂંટણીમાં પ્રજા વચ્ચે જવાનો પ્રયાસ છે. ૧૮ તારીખથી શરૂઆત પ્રથમ તબક્કામાં મહાનગરો અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારોમાં એક સાથે આ અભિયાન થશે. ગો ટુ ધ પીપલ કાર્યક્રમને ખરા અર્થમાં અમલી બનાવવામાં આવશે.
આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોની સ્થાનિક સમસ્યા રૂબરૂ સાંભળી, તેના નિવારણ માટેની રણનીતિની વાત, સરકાર જ્યાં અન્યાય અત્યાચાર કરે છે તેનો મજબુત જવાબ આપવાની રણનીતિ સાથેનો રહેશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, “ભાજપના શાસનથી સમગ્ર ગુજરાતમાં લોકો ખુબજ ત્રસ્ત અને નારાજ છે, આ અભિયાન હેઠળ ગુજરાતના લોકોની આશાઓ અને અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું કામ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો ગામડે ગામડે જઈને કરશે. તમામ ગામડાઓની અંદર ખેડૂત બીલ, બેરોજગારી અને મોંઘવારી સહીતની દરેક સમસ્યાઓ પર લોકો વચ્ચે જઈને ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છીએ. જે પ્રમાણે કોંગ્રેસ પક્ષના આગેવાનો- કાર્યકરો લોકોને પક્ષની સાથે જોડી રહ્યા છે ત્યારે ભાજપ સંપૂર્ણપણે સરકાર અને પોલીસ અધિકારીઓનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે માત્ર સરકાર સામે નહી અન્યાય સામે લડી રહ્યા છીએ. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ પક્ષ ખુબ સારું પ્રદર્શન કરશે, જીત મેળશે અને ગુજરાતના લોકોની આશા-અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું કામ કરશે. જનસંપર્ક અભિયાનથી માત્ર કોંગ્રેસ પક્ષ સત્તામાં આવે એટલે જ નહી ગુજરાતની જનતાની એક એક સમસ્યાનું સમાધાન કરવાના સંકલ્પ સાથે લડાઈ લડીશું.