વિધાનસભામાં પહેલા દિવસે વિપક્ષના ધારદાર સવાલ : વાંચો વિપક્ષના સવાલ અને સરકારના જવાબ
ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. વિધાનસભામાં ચોમાસુ સત્રના પહેલા જ દિવસે 1 કલાક સુધી પ્રશ્નોત્તરી થઈ હતી, જેમાં વિરોધપક્ષ દ્વારા સરકારને સવાલો કરવામાં આવ્યા હતા. એમાં વિરોધપક્ષ દ્વારા નવી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતાં તેલના ભાવમાં વધારાથી લઈને તાઉતે વાવાઝોડામાં સહાય સુધીના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
વિધાનસભામાં છેલ્લા 1 વર્ષમાં સીંગતેલ, કપાસિયા તેલ તથા પામોલિન તેલમાં ભાવવધારા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેમાં સરકારે સીંગતેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 18 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 32 રૂપિયા અને પામોલિન તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 19 રૂપિયાનો વધારો થયો હોવાનું જણાવ્યું હતું. આ માટે કાચા માલની અછત, મજૂરોની સમસ્યા, પરિવહન મુશ્કેલીઓને કારણે તેલના ભાવ વધ્યાનો સરકારે સ્વીકાર કર્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્યએ લેખિતમાં સૌની યોજના મુદ્દે સવાલ કર્યો હતો, જેમાં સરકારે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં સૌની યોજના હેઠળ 13 ડેમનો સમાવેશ કરેલો છે. છેલ્લા 1 વર્ષમાં 1 પણ ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી અપાયું નથી. સૌની યોજનાની પાઈપલાઈન તથા પંપિંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી ભરવામાં આવશે એમાં સરકારે જવાબ આપ્યો હતો.
વિધાનસભામાં કોંગ્રેસના માણસાના ધારાસભ્ય સુરેશકુમાર પટેલે ગૃહમંત્રીને સવાલ પૂછ્યો હતો કે 31, જુલાઈ 2021ની સ્થિતિમાં છેલ્લાં 2 વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગર શહેર/જિલ્લામાં ખાનગી વાહન પર પોલીસ, પી, ગુજરાત સરકાર કે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત જેવું હોદ્દાસંબંધી લખીને અધિકારીઓ/કર્મચારીઓએ નિયમ ભંગ કરતા કેટલા અધિકારીઓ/કર્મચારીઓના કેસ સામે આવ્યા? જેના જવાબમાં ગૃહમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં 1-8-2020થી 31-7-2021 સુધીમાં અમદાવાદ શહેરમાં 12 જેટલા અધિકારીઓ/કર્મચારીઓએ વાહન પર પોતાનો હોદ્દો લખીને નિયમ ભંગ કર્યો હતો. આ 12 કેસમાં તેમની પાસેથી રૂ.9600નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે તારાજી સર્જાઈ હતી. વિધાનસભામાં વિપક્ષના સવાલનો જવાબ આપતાં તાઉતે વાવાઝોડામાં સહાય ચૂકવવામાં વિસંગતતા હોવાનું સામે આવ્યું હતં, જેમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં 7 કિસ્સામાં આ પ્રકારની વિસંગતતા મળી હતી. સરકારે રેકોર્ડ આધારિત ચકાસણી કરીને ઠરાવ મુજબ રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે.
વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું, ભારત સરકારની નોડલ એજન્સી નાફેડ દ્વારા છેલ્લાં બે વર્ષેમાં 703137 મેટ્રિક ટન મગફળી ખરીદવામાં આવી છે. વર્ષ 2020-21માં પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 275 રૂપિયા અને વર્ષે 2021-22 માં 5 હજાર 550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવી.
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પ્રશ્નનો ગૃહ વિભાગ દ્વારા લેખિતમાં જવાબ અપાયો કે, રાજ્યમાં છેલ્લાં બે વર્ષેમાં 1620 તડીપાર કરવાનો હુકમો કરાયા. જેમાં અમદાવાદ શહેરમાં 350 લોકો હતા, જ્યારે પાસાના 5402 હુકમો કરવામાં આવ્યા જેમાં અમદાવાદ શહેરમાં 2477 કેસ નોંધાયા, જેની સામે નામદાર હાઇકોર્ટ દ્વારા 37 તડીપાર અને 3447 પાસાના કેસ રદ કરવાનો હુકમો કરાયો છે.
કસ્ટોડિયલ ડેથ મામલે પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું કે, છેલ્લા 1 વર્ષમાં જ નવસારીમાં 3 કસ્ટોડિયલ ડેથના કિસ્સા બન્યા છે, જે મામલે 1 પીઆઇ, 1 પીએસઆઇ, 1 કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલની અટકાયત કરાઈ છે. 1 કિસ્સામાં ન્યુમોનિયા અને હૃદયરોગને કારણે મોત થયાનું સામે આવ્યું, જ્યારે અન્ય 2 કિસ્સામાં તપાસ ચાલુ છે. જ્યારે જેલમાં અકુદરતી મોતના સવાલના જવાબમાં જણાવાયું કે, અમદાવાદની સાબરમતી જેલમાં 6, સુરતની જેલમાં 3 કેદીના અકુદરતી મોત થયાં. 1 અમદાવાદ અગમ્ય કારણસર, 1 માનસિક બિમારી, 1 દાઢની બીમારીના કારણે, 1 કોરોનાની બીમારીમાં મુલાકાત બંધ હોવાથી, 1 કેડી જમીન ન મળવાથી, 1 માનસિક તણાવના કારણે, સુરત જેલમાં 1, બળાત્કારના ગુનામાં મનદુઃખ થવાથી, 1 HIV બીમારી અને જમીન ન મળવાથી, 1 કેદીનો બળાત્કાર ગુનો દાખલ બદલ સ્થાનિકો દ્વારા માર મારવામાં આવવાથી થયેલી ઇજાના કારણે સારવાર દરમિયાન મોત થયું.
ભૂતકાળમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં ગોલમાલ સામે આવ્યું હતું જેમાં કોઈ સુધારો કરવા માંગો છો કે નહીં તેવો સવાલ કોંગ્રેસના અમિત ચાવડાએ કર્યો હતો. જેના જવાબમાં મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે 4 હજાર કરોડનો ગોટાળો થયો હોવાના આક્ષેપ ખોટા છે, છેલ્લા 2 વર્ષમાં કોઈ ફરિયાદ થઈ નથી ને ભૂતકાળમાં કંઈ બન્યું હોય તો હું જાણતો નથી, આ પ્રશ્ન માત્ર 2 વર્ષ નો જ છે.
ભૂગર્ભ જળમાં નાઈટ્રેટ કન્ટેઇનમેન્ટનું પ્રમાણ માત્રા કરતા વધુ હોય તો નાના બાળકોને મિથેઇમોગ્લોબીનેમિયા (બ્લુ બેબી) રોગ થવાનો ભય હોય છે. રાજ્યના 31 જિલ્લાઓના ભૂગર્ભ જળમાં નાઈટ્રેટ કન્ટેઇનમેન્ટનું પ્રમાણ જરૂરી માત્રા કરતા વધુ હોવાનું સામે આવ્યું હતું. જે વિશે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે, રાજ્યના પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવતા પીવાના પાણીમાં કોઈ જિલ્લાના ગામના પાણીમાં નાઈટ્રેટ જોવા મળ્યું નથી.
રોજગારી અંગે ગૃહમાં સરકારે જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં 31 ઓગસ્ટ, 2021 સુધીના એક વર્ષમાં 57 ઔદ્યોગિક મેળા યોજવામાં આવ્યા. આ ભરતીમેળામાં 4856 લોકોને રોજગારી મળી.
ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ અને સંગ્રહ વિષે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં સરકારે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લાં 2 વર્ષમાં ગેરકાયદે બાયોડીઝલ વેચાણ, સંગ્રહના 20 ગુના નોંધાયા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 20 ગુના નોંધાયા છે. આ ગુનાઓમાં 72.84 લાખની કિંમતનો 1.16 લાખ લિટર જથ્થો પકડાયો. અત્યાર સુધીમાં 58 આરોપીઓ પકડાયા છે.
દારૂ વિષે પુછાયેલા એક સવાલના જવાબમાં સરકારે ગૃહમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની સીમાઓ પરથી કુલ 2019-20માં કુલ 1,92,061 વિદેશી દારૂની બોટલ અને 18,769 બિયરની બોટલો ઝડપાઇ છે. જ્યારે 2020-21માં 1,98,523 જેટલી વિદેશી દારૂની બોટલ અને 17,720 બિયરની બોટલ ઝડપાઇ છે, જ્યારે 2019-20માં કુલ 462 અને 2020-21માં કુલ 513 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી.