ગુજરાતમાં હિન્દીભાષીઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રી બનવાના અભરખા છે એટલે તેઓ હિન્દીભાષીઓ પર રાજકારણ રમે છે અને ઠાકોર સેનાને બદનામ કરે છે. અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના અંગે ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડયાએ બચાવનામું રજૂ કર્યું છે અને તેમણે પણ હિન્દીભાષીઓને પરપ્રાંતીય જ ગણાવ્યા છે. આ પહેલા હાર્દિક પટેલે પરપ્રાંતીય નહીં પણ તમામને હિન્દુસ્તાની ગણવાવ્યા હતા. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોરને આકરા શબ્દોમાં જવાબ આપતા મામલે વધુ ઉગ્ર બને એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ગુજરાતના નેતૃત્વને બદનામ કરવા માટે કોંગ્રેસ એક ચોક્કસ પ્રકારની ડિઝાઈન સાથે ગુજરાત વિરોધી ષડયંત્ર સાથે ચાલી રહી છે.
ગુજરાતની જનતા કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણો, હિંસાત્મક આંદોલનનાં ષડયંત્રો સારી રીતે જાણી ચુકી છે. કોંગ્રેસ ખુલ્લી પડી છે તેથી ચારેબાજુથી જનતાનો કોંગ્રેસ સામે ફીટકાર થઈ રહ્યો છે અને એટલે કોંગ્રેસના નેતાઓ ભાજપ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરે છે.
કોંગ્રેસના ધારાસભ્યે કરેલા આક્ષેપોની સામે તીવ્ર પ્રતિક્રિયા આપતાં ભરત પંડયાએ જણાવ્યું હતુંકે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાહેરજીવનનાં લોકઉપયોગી અભ્યાસુ વ્યકિતત્વ છે. જેઓ ત્રણ દાયકાથી સાર્વજનિક જીવનમાં તેમનું યોગદાન છે. નીતિન પટેલ કડીમાં રહેતાં 5000થી વધુ પરપ્રાંતના લોકો સાથે 25 વર્ષથી હળીમળીને રહે છે. તેમના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સરકારી યોજનાઓનો લાભ પરપ્રાંતના લોકોને અપાવી રહ્યાં છે. તેમનાં ઉપર પરપ્રાંત અંગેના સંકુચિત આક્ષેપો કરવા એ કોંગ્રેસના ધારાસભ્યનું બુદ્ધિનું દેવાળું છે. નીતિન પટેલ પરના આક્ષેપોને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.
ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ડોમિસાઈલ પ્રમાણપત્ર એ ગુજરાતમાં રહેતાં યુવાનોના એડમિશન અંગેનો ટેકનીકલ મુદ્દો છે. કોઈપણ જ્ઞાતિ, સમાજ કે અન્ય રાજ્યોનાં યુવાનો હોય કે જે ગુજરાતમાં રહેતો હોય તેને અન્યાય ન થાય તે માટે એડમિશનમાં ડોમિસાઈલ સર્ટીફિકેટની જોગવાઈ હોય છે. જે દરેક રાજ્યોમાં હોય છે. ડોમિસાઈલ અંગે વિધાનસભામાં આ બીલ પસાર કરવામાં આવ્યું હતું અને હાઈકોર્ટે આની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
ભરત પંડયાએ ડોમિસાઈલ અંગે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું છે કે, કોગ્રેસે ગુજરાતના યુવાનોની વિરૂદ્ધમાં માનસિકતા પ્રગટ કરી છે. શું કોંગ્રેસ ઈચ્છે છે કે, ગુજરાતમાં રહેતાં યુવાનોને એડમીશનમાં ન્યાય ન મળે ? શું કોંગ્રેસ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં વિશ્વાસ નથી ધરાવતી એટલે તેના વિરૂદ્ધમાં નિવેદનો આપે છે ?