અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસે માજા મૂકી છે. હવે કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. ભરતસિંહ સોલંકીની હાલ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી બેન્કર હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, ભરતસિંહ સોલંકીએ થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી 21 જૂને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતાં. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના મોટા નેતાઓ-ધારાસભ્યો અને પત્રકારો સાથે હતા. ત્યારે હવે ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરેન્ટીન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.