દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ 6 જૂને ગુજરાતની મુલાકાતે આવશે જ્યાં તેઓ મહેસાણામાં એક રેલીને સંબોધશે.
પાર્ટીના અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. છેલ્લા ત્રણ મહિનામાં કેજરીવાલની ગુજરાતની આ ચોથી મુલાકાત હશે, જ્યાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. AAP નેતા મહેસાણામાં રોડ શો કરશે અને રેલીને સંબોધશે. મહેસાણા પાટીદારોનો ગઢ ગણાય છે.
પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે, “કેજરીવાલ 6 જૂને મહેસાણા આવશે. તેમના પ્રવાસની પુષ્ટિ થઈ ગઈ છે, જો કે તેમના પ્રવાસનું સત્તાવાર શેડ્યૂલ હજી જાહેર કરવામાં આવ્યું નથી. પંજાબમાં પાર્ટીની પ્રચંડ જીત પછી, કેજરીવાલે 2 એપ્રિલે અમદાવાદમાં ભગવંત માન સાથે રોડ શો કર્યો હતો અને 1 મેના રોજ ભરૂચમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના વડા છોટુ વસાવા સાથે “આદિવાસી સંકલ્પ સંમેલન” ને સંબોધિત કર્યું હતું.
આ પછી ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા રાજકોટમાં 11 મેના રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે અને તે પોતાને શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિરોધ પક્ષ કોંગ્રેસના વિકલ્પ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.