ગુજરાતમાં ઉત્તર ભારતીયો(હિન્દીભાષીઓ) પર થઈ રહેલા હુમલાના અનુસંધાનમાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ મેદાનમાં આવ્યો છે. હાર્દિક પટેલે પોસ્ટર લોન્ચ કર્યું છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે બિહારીઓ પર અત્યાચાર સહન કરવામાં આવશે નહી. પોસ્ટરમાં વધુમાં લખાયું છે કે બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ગુજરાત સહિતના રાજ્યોમાં રોજી-રોટી માટે આવતા લોકો સાથે કોઈ મારપીટ કરે છે અથવા તો તેમને ગુજરાત છોડવાની ધમકી આને છે તો હાર્દિક પટેલને આ અંગે ઈન્ફર્મ કરવામાં આવે. હાર્દિકે આ માટે હેલ્પ લાઈન નંબર પણ જારી કર્યો છે.
બીજી તરફ બિહારના પટના સહિત ઠેર-ઠેર હાર્દિકના ફોટો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં 14 વર્ષની બાળા સાથે રેપની ઘટનામાં બિહારી યુવકની સંડોવણી બાદ ગુજરાત ભરમાં હિન્દી ભાષીઓ વિરુદ્વ ઝૂંબેશ શરૂ થઈ ગઈ છે. હજારો લોકો હિજરત કરી રહ્યા છે.
હિન્દીભાષીની હિજરતનો મામલો હવે સમગ્ર દેશમાં વણસ્યો છે. ગુજરાતમાંથી થઈ રહેલી હિજરતનાં મુદ્દે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં પીએમ મોદી અને ગુજરાતી, મહારાષ્ટ્રીઓ વિરૂદ્ધમાં પોસ્ટર વોર શરૂ થયો છે. પોસ્ટરમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,”ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડો.”
યુપી બિહાર એકતા મંચ દ્વારા આ પોસ્ટર વોર શરૂ થયાં છે. આ મંચનાં કાર્યકર્તાઓનું કહેવું એમ છે કે, અમે પીએમ મોદીને ગળે લગાવ્યાં અને પીએમ બનાવ્યાં. અમારો સંદેશ છે કે ઉત્તર ભારતીયો પર હિંસા બંધ કરો. હિંસા થઈ રહી છે તે બંધ કરવામાં આવે. રેલ્વે સ્ટેશને હજારો ઉત્તર ભારતીયો રઝળપાટ કરી રહ્યાં છે.
અમે પીએમ સાથે ભેદભાવ નથી કર્યો તો અમારી સાથે કેમ ભેદભાવ રાખવામાં આવે છે. જે લોકો દ્વારા હિન્દીભાષીઓને હિજરત કરાવવામાં આવી રહી છે તેમની વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે. અમારી એક અપીલ છે કે, એક અઠવાડિયામાં ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીઓ બનારસ છોડે અથવા તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.