છોટાઉદેપુર જિલ્લો આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે. છોટાઉદેપુર લોકસભામાં સાત વિધાન સભાનો સમાવેશ થાય છે તમામ વિધાનસભા સીટમાં આદીવાસી મતદારો વધુ છે, પરંતુ આ લોકસભા સીટમાં ભાજપ અને કોંગ્રેસને વરેલા મતદારો છે. અત્યાર સુધી આ સીટ પર કોંગ્રેસનું પ્રભુત્વ હતું પરંતુ 2002માં સમીકરણ બદલાયા બાદ ભાજપ જીત્યું ત્યાર બાદ એક વખત આ સીટ કોંગ્રેસના ફાળે ગઈ હતી અને નારણ રાઠવા જીતીને રેલ મંત્રી બન્યા હતા.
આ સીટ પર બે જ પક્ષનું પ્રભૂત્વ છે પરંતુ આદિવાસી રાઠવા સમાજમાંથી જૈન મુનિ રાજેન્દ્ર મહારાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ને જણાવ્યું કેં હું વિસ્તારમાં શૈક્ષણિક, વ્યસન મુક્તિ સહિતના કામોમાં સક્રીય છું. રાઠવા જાતિના દાખલા મુદ્દે તેમજ આદીવાસીઓને જમીનમાં 73AA દાખલ કરવા આંદોલન કરી રહ્યો છું. હું આદીવાસીઓની આગેવાની લઈ આગામી લોકસભાની સીટ માટે બન્ને પક્ષના મોવડીઓ જોડે સંપર્કમાં છું. મારા સમાજના લોકો જે કહેશે તે પ્રમાણે હું કરીશ પરંતુ અહીંયા ભાજપ અને કોંગ્રેસ વર્ષોથી મહેનત કરતા કાર્યકરો હોવાથી નવા ચહેરાને ટિકીટ આપી કોઇ પણ પક્ષ જોખમ લેવા તૈયાર નથી.
તેમણે કહ્યું કે હજુ સુધી સત્તાવાર રીતે કોઇ પણ પક્ષે જાહેરાત કરી નથી પરંતુ મુનિ મહારાજે પ્રેસ કોન્ફરન્સ કરી પોતે લોકસભાની ટીકીટ માંગશે તેવુ રણશિંગું ફૂંક્યું છે. તેમની જાહેરાતથી ભાજપ-કોંગ્રેસના પાયાના કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે. ભાજપ અને કોંગ્રેસ આગામી સમયમાં શું રણનીતિ ઘડે છે તે જોવાનું રહે છે.