મંત્રી પદ મેળવવા માટે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જવાહર ચાવડા પોતાને પત્રકારોનો બાપ ગણાવી રહ્યા છે. ભૂતકાળ ભૂલીને જવાહર ચાવડાએ પત્રકારો માટે કરેલી અભદ્ર ટીપ્પણીને ભારે વિવાદ જગાવ્યો છે. જવાહર ચાવડાએ ફેસબૂક પર પોસ્ટ મૂકી દિલગીરી વ્યક્ત કરી છે પરંતુ એ પણ જાણે પરાણે કરી હોય એવું લાગે છે.
ભાજપના ઘોડે સવાર થઈ જવાહર ચાવડા પોતાની જાતને તીસમારખાં સમજવા લાગ્યા છે. જવાહર ચાવડાએ જૂનાગઢના માણાવદરના કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે ‘પત્રકારોમાં હજુ પણ એવો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી શું કામ ભાજપમાં આવ્યા. હજુ પત્રકારો પૂછે છે તમે શેના માટે ગયા, તમને શું વાંધો હતો.. મેં કીધું કે વાંધો તો તારા બાપને આંયા હતો જ નહીં..’ આમ આ નિવેદન આપી તેને પોતાની જાતને પત્રકારનો બાપ ગણાવ્યા હતા. એક કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે જવાહરના આ નિવેદનની સોશિયલ મીડિયામાં ખાસ્સી ટીકા થઈ છે. ઘણા વરિષ્ઠ પત્રકારોનું કહેવું છે કે બાપ કોને કહેવાય એ એમને શીખવું જોઈએ, પછી બોલવું જોઈએ.
આ વિવાદ બાદ જવાહર ચાવડાએ એક વીડિયો રિલિઝ કર્યો અને તેમાં દલીલ કરી હતી કે, આ તો સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં બાપ શબ્દનો પ્રયોગ થાય છે એટલે તેમણે કર્યો હતો. પરંતુ તેમણે 19 મિનિટ સુધી સારી અને પોઝિટિવ વાતો કરી તેનું પત્રકારોએ રિપોર્ટિંગ કરવું જોઈએ, નહીં કે ચાર સેકન્ડની નબળી વાતોનું. આમ, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે જવાહર ટિપિકલ ભાજપી નેતાની જેમ પત્રકારોને રિપોર્ટિંગ શીખવે છે.
આ અંગે રેશ્મા પટેલે નિવેદન આપતા કહ્યું કે, લોકશાહીની ચોથી જાગીર સમાન ગણાતા પત્રકાર જગતને હું હંમેશા સલામ કરુ છું. પત્રકારોને કોઇ પણ પ્રશ્ન પુછવાનો અધિકાર છે. નેતાઓને સારા પ્રશ્નો પૂછે એ જ ગમતું હોય છે અને કડવા પ્રશ્નો પૂછે તો પત્રકાર મિત્રોના અપમાન કરે છે. આવી માનસિકતાવાળા નેતાઓ ક્યાંકને ક્યાંક લોકશાહી અને લોકહિત પર તરાપ મારે છે. મંત્રીના આવા અપશબ્દોને હું સખ્ત શબંદોમાં વખોડું છું.