ભરૂચ બેઠકને લઈ કોંગ્રેસમાં કલાકે-કલાકે ચિત્ર બદલાઈ રહ્યું છે. શરૂઆત અહેમદ પટેલના ચૂંટણી લડવાની સંભાવનાથી થઈ અને ગઈકાલે પીડી વસાવાનું ગાજ્યું તો આજે દિવસભર શકુર પઠાણના છોકરા શેરખાનનું નામ ગાજ્યું. હવે ફરી એક વાર ભરૂચ બેઠકનું ચિત્ર બદલાયું છે.
કોંગ્રેસ વર્તુળાના જણાવ્યા મુજબ હજુ પણ કોંગ્રેસ હાઈકમાન્ડનો આગ્રહ છે કે અહેમદ પટેલ પોતે ચૂંટણી લડે. અહેમદ પટેલ આનાકાની કરી રહ્યા છે અને સેફ રિટાયરમેન્ટની વાત પર અડગ છે પરંતુ કોંગ્રેસ અને ભરૂચના આગેવાનો અહેમદ પટેલ પોતે ચૂંટણી લડે તેના માટે આગ્રહ કરી રહ્યા છે.
બીજી તરફ એવી પણ ચર્ચા ઉપડી છે કે ભરૂચમાં અહેમદ પટેલ ચૂંટણી નહીં લડે તો અંતે ભરૂચની સીટ જનતાદળ-એસને આપી દેવામાં આવે. સૂત્રો જણાવી રહ્યા છે કે દિલ્હીમાં રાહુલ ગાંધી અને શરદ યાદવ વચ્ચે ભરૂચની સીટને લઈ વાતચીત કરવામાં આવી હતી અને ભરૂચ બેઠક જનતા દળને આપી દેવા માટે કોંગ્રેસ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભરૂચ બેઠક છોટૂ વસાવાને આપી બાકીની આદિવાસી પ્રભૂત્વ ધરાવતી સાત બેઠક પર ઉભા રાખવામાં આવેલા ઉમેદવારો પાસેથી છોટૂ વસાવા ફોર્મ પરત ખેંચાવી લે તેવી ફોર્મ્યુલા પર કામ કરવામાં આવી રહ્યું છે. આમ તો ભરૂચ બેઠક પરથી છોટૂ વસાવાએ બીપીટીના નેજા હેઠળ ફોર્મ ભરી દીધું છે.
હજુ સુધી કોંગ્રેસ કે કોંગ્રેસના નેતાઓ દ્વારા ભરૂચની સીટ અંગે કોઈ ફોડ પાડવામા આવી રહ્યો નથી. છોટૂ વસાવાને સીટ ફાળવી રાજ્યસભાની ચૂંટણી વખતે વસાવા દ્વારા અહેમદ પટેલની તરફે વોટીગ કરવામાં આવ્યું તો તેનું ઋણ પણ અદા થઈ જાય અને વર્ષોથી બન્ને વચ્ચે ચાલી રહેલી રાજકીય સ્પર્ધાનો પણ સાથો સાથ અંત આવે. આ ઘટનાક્રમ બહાર આવતા ભરૂચ કોંગ્રેસમાં ચણભણાટ શરૂ થઈ જવા પામ્યો છે.