લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપને ઝટકો લાગ્યો છે. ભાજપના સંસ્થાપક મેમ્બર રહેલા જશવંતસિંહના પુત્ર માનવેંદ્રસિંહ સમગ્ર પરિવાર સાથે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.
ભાજપના સંસ્થાપક મેમ્બર અને પૂર્વ વિદેશ મંત્રી જશવંતસિંહના પરિવારે કોંગ્રેસની કંઠી બાંધી લીધી છે. રાજસ્થાનના મારવાડમાં તેમનો ખાસ્સો પ્રભાવ માનવામાં આવે છે. જશવંતસિંહના પરિવારનો ભાજપ સાથે છેડો ફાડવો ભાજપ માટે મોટો ઝટકો મનાય છે.
દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નિવાસે જશવંતસિંહના પુત્ર માનવેંદ્રસિંહે કોંગ્રેસમાં જોડાવાનું એલાન કર્યું છે. હાલ માનવેંદ્રસિંહ શિવ વિધાનસભા સીટ પરથી ભાજપના ધારાસભ્ય છે. માનવેંદ્રની સાથે તેમની પત્ની ચિત્રાસિંહ, જીવંતસિંહ, દ્વિતીય પુત્ર ભૂપેન્દ્રસિંહ અને જશવંતસિંહના પત્ની શીતલ કવરે કોંગ્રેસની મેમ્બરશીપ સ્વીકારી હતી. કોંગ્રેસમાં જોડાયા બાદ માનવેંદ્રસિંહ પોતાના ઘરે યજ્ઞ પણ કરાવ્યું હતું.
પાછલા મહિને બાડમેરના પચપદરા ખાતે થયેલી સ્વાભિમાન રેલી દરમિયાન માનવેંદ્રસિંહે એક હી ભૂલ, કમલ કા ફૂલ કહીને ભાજપને રામ રામ કર્યા હતા. ત્યારથી જ તેમની કોંગ્રેસમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. બાડમેરમાં કોંગ્રેસના નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. કોંગ્રેસના સચિવ હરીશ ચૌધરીએ કહ્યું કે તેમણે કદી પણ માનવેંદ્રસિંહનો વિરોધ કર્યો નથી. તેમના આવવાથી કોંગ્રેસ વધુ મજબૂત થઈ જશે. રાજસ્થાનમાં રાજપૂતો ભાજપની વોટબેન્ક રહી છે.
કોંગ્રેસ આ વખતે કોશિશ કરી રહી છે કે નારાજ રાજપૂતોને ભાજપ તરફથી કોંગ્રેસ તરફ વાળવામાં આવે. જ્યારે ભાજપના પ્રયાસો છે કે રાજપૂતોને ડર બતાવી કોંગ્રેસ પરંપરાગત વોટર્સને પોતાની તરફ ખેંચી રહી છે. પણ કોંગ્રેસ દ્વારા જાટ સમુદાયની સાથે રાજપૂત વોટર્સને પણ સાથે રાખવાની વ્યૂહરચના ગોઠવવામાં આવી રહી છે.
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જશવંતસિંહને ટીકીટ આપી ન હતી. આના કારણે જશવંતસિંહે અપક્ષ ઉમેદવારી કરી હતી અને તેઓ હારી ગયા હતા. આ ઘટના બાદ જશવંતસિંહનો પરિવાર ભાજપથી નારાજ ચાલી રહ્યો હતો.