શુક્રવારે વલસાડના ધરમપુરમાં દાદરા નગર હવેલીના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ સાંસદ મોહન ડેલકરની અનુપસ્થિતિ ખાસ્સી એવી ચર્ચામાં રહી છે. દાદરા નગરા હવેલીથી માંડ 20 કિ.મીના અંતરે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આવ્યા હતા અને મોહન ડેલકર આવ્યા નહીં તેને લઈ કોંગ્રેસ સહિત ભાજપમાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.
રાહુલ ગાંધીની સભામાં પોતાની અનુપસ્થિતિને લઈ મોહન ડેલકરે ખુલાસો કર્યો છે. આજે ટેલિફોન પર વાત કરતા મોહન ડેલકરે કહ્યું કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સભામાં ગેરહાજર રહેવા અંગે ઉભી થયેલી ગેરસમજ છે. ખરેખર તો હું તે દિવસ અત્યંત અગત્યના કામમાં વ્યસ્ત હતો અને તે અંગે કોંગ્રેસની નેતાગીરીને જાણ કરવામાં આવી હતી. તે દિવસે હું મારા અંગત કામમાં વ્યસ્ત હતો અને એના કારણે જ હું જાહેર સભામાં જઈ શક્યો ન હતો.
અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ સેલવાસમાં જાહેરસભા સંબોધી હતી ત્યારે તેઓ સ્ટેજ પર સ્વાગત કરવા પહોંચ્યા હતા અને ત્યાર બાદ તેમની ભાજપમાં જવાની અફવાએ જોર પકડ્યું હતું. ભાજપમાં જવા અંગેની અટકળો અંગે પણ ત્યારે મોહન ડેલકરે સ્પષ્ટતા કરી હતી કે ભાજપમાં જવાની વાત સાવ ખોટી છે. હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહીશ. આ ઉપરાંત તેમના રાજીનામાને લઈને પણ ચર્ચા ચાલી હતી પરંતુ તેમણે રાજીનામા વિશેની વાત પણ ફગાવી દીધી હતી અને લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા કમરકસી હોવાનું જણાવ્યું હતું.