સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદ મોહન ડેલકરે કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ મોહન ડેલકરે કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પ્રભારીની કાર્ય પદ્વતિથી ડેલકર નારાજ ચાલતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
19મી જાન્યુઆરીએ જ્યારે વડાપ્રધાન મોદીએ સેલવાસમાં જાહેરસભાને સંબોધન કર્યું તો મોહન ડેલકર સ્ટેજ પર પહોંચી ગયા હતા અને પીએમ મોદી સાથે ફોટો પડાવ્યો હતો અને ગુલદસ્તાથી સ્વાગત કર્યું હતું. પીએમ મોદી સાથે સ્ટેજ પર દેખાતા જ ડેલકર ભાજપમાં જઈ રહ્યા હોવાની ચર્ચા ગરમ બની ગઈ હતી અને હવે તેમનું રાજીનામાની ખબર આવતા એવું મનાય છે કે તેઓ ભાજપમાં જશે. મોહન ડેલકરના રાજીનામાથી સેલાવાસ જ નહી પરંતુ લોકસભાની બન્ને સીટે દિવ-દમણ અને સેલવાસમાં મોટો ફટકો પડવાની શક્યતા જોવા મળી રહી છે.
19મી તારીખે સેલવાસની જાહેરસભા સ્ટેજ પર વડાપ્રધાન મોદી આવ્યા કે તેની થોડી મીનીટોમાં દાદરા નગર હવેલીના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદ મોહન ડેલકર અચાનક મંચ પર ફૂલમાળા લઈને દેખાયા હતા. એક વાત પાકી છે કે વડાપ્રધાનના મંચ પર જવા માટે અગાઉથી નિર્ધારિત કરાયેલા લોકોને જ જવા દેવામાં આવે છે અને તેમાંય વળી એસપીજી સુરક્ષામાંથી પસાર થવાનું હોય છે. મતલબ કે મોહન ડેલકરનું નામ અગાઉથી સ્વાગત કરનારાઓની યાદીમાં હોવાની શક્યતા છે અને તેમને અગાઉથી સભા સ્થળે પહોંચવાની એસપીજીએ અનુમતિ આપી દીધી હોવાનું સંભવી શકે છે. આ ઘટના પરથી જ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે મોહન ડેલકર હવે કોંગ્રેસમાં થોડા દિવસોના અતિથિ છે. અપેક્ષા મુજબ જ તેમણે રાજીમાનું દીધું છે અને તેમના માટે ભાજપના દ્વાર ખુલ્લા છે.