લોકસભા ચૂંટણી માટેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી અને કોંગ્રેસ વચ્ચે મહારાષ્ટ્રમાં ગઠબંધન છે. આ ગઠબંધનની અસર ગુજરાતમાં પણ પડવાની છે. મહારાષ્ટ્રમાં પવારે કુલ 48 લોકસભા સીટ પૈકી 24 સીટ એટલે કે અડધો-અડધ સીટ કોંગ્રેસ પાસે માંગી છે. 24 સીટ માંગી પવારે કોંગ્રેસને ફિક્સમાં મૂકી દીધી છે. જ્યારે ગુજરાતમાં એનસીપી ઓછામાં ઓછી 4 સીટ માંગી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
એનસીપીના નેતા જીતેન્દ્ર આવ્હાડે કહ્યું છે કે શરદ પવાર આગામી લોકસભાની ચૂંટણી લડવાની નથી. કોંગ્રેસ સાથેના જોડાણમાં 24 સીટની માંગ કરવામાં આવી છે. શરદ પવારે ઉમેદવાર તરીકે પોતાના નામની ચર્ચા કરવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે.
આવ્હાડ મુંબઈ-કુર્લાના ધારાસભ્ય છે. તેમણે કહ્યું કે શરદ પવારે મવાલ લોકસભા સીટ પરથી અજીત પવારના પુત્ર પાર્થ પવારની ઉમેદવારીનો વિરોધ કર્યો હોવાની વાતને બેબુનિયાદ બતાવી છે. આ અંગે તેમણે કહ્યું કે હાલ ઔપચારિક ચર્ચા ચાલી રહી છે. પાર્ટીના કાર્યકરો સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવામાં આવશે.
શરદ પવારે એનસીપીના કાર્યકરો સાથે પાર્ટી કાર્યાલય પર વિચાર-વિમર્શ કર્યો હતો. બીજી તરફ એનસીપીના અન્ય નેતા સુનીલ તટકરેએ કહ્યું કે જો પૂર્વ પ્રદેશ પ્રમુખ ભાસ્કર જાદવ પોતે રાયગઢથી ચૂંટણી લડવા માંગતા હોય તો તેઓ રાયગઢની સીટ જતી કરવા તૈયાર છે.
ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી એનસીપી ગુજરાતમાં કોંગ્રેસ પાસે ચાર સીટ માંગી રહી હોવાના અહેવાલ છે. એવું મનાય છે કે શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં એનસીપીની કમાન સંભાળી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. હાલ આ બધી અટકળો ચાલી રહી છે.