ગાંધીનગર
આજે કાળી ચૌદશ છે, આજે રાત્રે સૌ કોઈ વડા બનાવીને ઘરની નજીકના ચાર રસ્તે ઘરનો કકળાટ બહાર કાઢતા હોય છે. ભાજપના ઘણા કાર્યકરો અને આગેવાનો સાથે થતી અંગત વાત-ચિતમાં જે જાણવા મળે છે એ એમ છે કે, ભાઈ અમે શિસ્તના દોરડે બંધાયેલા છીએ એટલે જાહેરમાં બોલી શકતા નથી પણ અમે મનમાંને મનમાં વડાપ્રધાન મોદીને એક જ પ્રાર્થના કરીયે છીએ કે હે મોદીજી….કાલી ચૌદશે આ મોંઘવારીરૂપી કકળાટને દેશમાંથી હવે બહાર કાઢો નહીતો 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા ભાજપને બહારનો રસ્તો દેખાડી દેશે.
દેશભરમાં વિધાનસભાઓની 29 બેઠકો ઉપર પેટ ચૂંટણી યોજાઈ ગઈ. જેમાંથી ભાજપ ફક્ત 7 બેઠક જીતી શક્યો. લોકસભાની 3 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીમાં ભાજપ ફક્ત 1 બેઠક જીતી શક્યો. હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ડર છોડીને જાહેર નિવેદન આપ્યું કે બેફામ થયેલી મોંઘવારીના કારણે ભાજપે હિમાચલમાં 4 વિધાનસભાની અને એક લોકસભાની બેઠક ગુમાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા હિમાચલ પ્રદેશમાંથી આવે છે. કોંગ્રેસે આ પેટ ચૂંટણીમાં ભાજપ કરતા સારો દેખાવ કરીને 29માંથી 8 બેઠકો મેળવી છે. એમ છતાં ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી મોંઘવારીને હજુ પણ કોઈ મોટો અને મહત્વનો મુદ્દો માનવા તૈયાર હોય એમ લાગતું નથી.
આથી હવે તો જો ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા, વડાપ્રધાન મોદીને ઉદ્દેશીને મનમાં ને મનમાં થતી મોંઘવારી ઘટાડવાની પ્રાર્થના જો મોદીજી અંતર્યામી થઈને સાંભળી શકે અને જો મોદીજી એ પ્રાર્થના ધ્યાને લઇ લે તો કદાચ આપણા સૌ નો ઉદ્ધાર થાય બાકી તો વડા બનાવો અને રાત્રે ચાર રસ્તા ઉપર જઈને ઘરનો કકળાટ કાઢો. બીજું શું?