પાછલા કેટલાક દિવસોથી સુરત બેઠકને લઈ ભાજપમાં વિચારવલોણું ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદી પોતે સુરત બેઠક પરથી પણ ઉમેદવારી કરે તેવી તર્કસંગત ચર્ચા ચાલી રહી છે. ચર્ચા થવા પાછળનું કારણ એ છે કે તાજેતરમાં વડાપ્રધાન મોદીના ભાઈ સોમભાઈ મોદીએ સુરતમાં સંમેલમ યોજ્યું હતું અને આ સંમેલન બહુ વિશાળ પાયા પર કરવામાં આવ્યું ન હતું છતાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમાં હાજરી આપી હતી. સંમેલન ઉપરાંત પાછલા એક વર્ષના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે સુરતમાં હજાર કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ કરી છે.
અનેકવિધ યોજનાઓ સાથે સુરત બેઠક પર વડાપ્રધાન મોદી ચૂંટણી લડે તેવા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. સુરતને અનેક રીતે કન્દ્ર સરકારની યોજનાઓ આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ આમ પણ સુરત માટે અનેકવાર કહ્યું છે કે હું અહીંય આવું છું તો મને ઘર જેવું લાગે છે. સુરત મારો પરિવાર છે. આ બધી ચર્ચા અને તર્કના કારણે સુરત બેઠક પર વડાપ્રધાનનો કાર્ડ ભાજપ ઉતરી શકે એમ હોવાનું ભાજપના આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે. આમ પણ સુરત નરેન્દ્ર મોદી માટે લકી સાબિત થયું છે.
કેશુભાઈ પટેલ સાથેના ખટરાગ બાદ નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર મોકલી આપવામાં આવ્યા હતા અને જ્યારે ગુજરાતમાં ફરી પાછી એન્ટ્રી થઈ ત્યારે સુરત મોઢવણિક સમાજે ગાંધી સ્મૃતિ ભવનમાં તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યારે ગુજરાતીના સુપ્રિદ્વ લેખક ચંદ્રકાંત બક્ષીએ મોદી માટે વડાપ્રધાન બનવા અંગેની આગાહી કરી હતી. આમ વડાપ્રધાન મોદીની સુરતમાંથી ઉમેદવારીને વજન મળી રહ્યું છે.
ભાજપે અત્યાર સુધી સુરત બેઠક જાહેર કરી નથી એની પાછળનું કારણે એ છે કે પાટીદાર સમાજના મહેશ સવાણીનું નામ ચર્ચામાં આવ્યા બાદ મૂળ સુરતીઓ વંકાયા છે અને સુરતમાંતી મૂળ સરુતીને જ ટીકીટ આપવામાં આવે તેવી જોરદાર માંગ કરવામાં આવી રહી છે. મૂળ સુરતી તરીકે દાવેદારી કરનારાઓમાં સુરત શહેર ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળા છે અને આ સિવાય અન્ય નામમાં પૂર્ણેશ મોદી પણ હોવાની શક્યતા નકારી શકાતી નથી. વચ્ચે સોશિયલ મીડિયામાં અજય ચોકસીનું નામ પણ ચર્ચાયું હતું.
જો વડાપ્રધાન મોદી પોતે ચૂંટણી લડે તો આ બધા વિવાદો પરથી ઠંડુ પાણી રેડી શકાય અને પાટીદાર કે મૂળ સુરતી અંગનો છેદ પણ આસાનીથી ઉડી શકે છે. હવે જો અને તો પણ ખેલ છે. જો પીએમ મોદી નહીં તો વિકલ્પ તરીકે મૂળ સરુતીમાંથી નીતિન ભજીયાવાળા કે પૂર્ણેશ મોદી પણ ઉમેદવાર તરીકે મજબૂત દાવેદાર બની શકે છે.
પીએમ મોદીએ યુપીના વારાણસીમાંથી ઉમેદવારી કરી છે. 2014માં પણ વારાણસી ઉપરાંત વડોદરાથી ઉમેદવારી કરી હતી અને ત્યાર બાદ વડોદરાની બેઠક ખાલી કરી હતી. 2019માં વડોદરાના બદલે તેઓ સુરતથી પણ ઉમેદવારી કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.