બિહારના ટોચના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશપ્રસાદ સિંહનું અવસાન થતાં સમાજવાદનો વધુ એક ગઢ ધ્વસ્ત થયો છે. તેમની તબિયત બગડતા તેમને તાજેતરમાં દિલ્હી એઇમ્સ (AIIMS)માં ભરતી કરવામાં આવ્યા હતા. શુક્રવારે રાત્રે તેમની તબિયત અચાનક વધારે બગડી ગઈ, તેના પછી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા. ડોક્ટરો સતત તેમની તબિયત પર ધ્યાન રાખી રહ્યા હતા, પરંતુ તેમની તબિયત સતત બગડી રહી હતી. તેના પછી રવિવારે તેમનું અવસાન થયુ. તેઓ 74 વર્ષના હતા.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશપ્રસાદ સિંહની ઓળખ બિહારના કદાવર નેતા તરીકે થતી હતી. તેમને તાજેતરમાં તબિયત બગડતા દિલ્હીના એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. દિલ્હીના એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા પછી ગુરુવારે રઘુવંશપ્રસાદ સિંહે આરજેડીના વડા લાલુપ્રસાદ યાદવ (Lalu prasad yadav)ના નામે એક પત્ર લખ્યો હતો, જેમા તેમણે આરજેડી છોડવાની જાહેરાત કરી હતી. જો કે લાલુપ્રસાદે તેમનું રાજીનામુ નકાર્યુ હતુ. તેની સાથે તેમને મનાવવાનો પ્રયત્ન કરતા લખ્યું હતું કે તેઓએ ક્યાંય જવાનું નથી.