નવા વર્ષમાં આયોજીત પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. દરેક બુથ પર પેપર ટ્રેઈલ મશીન મૂકવાની માંગ સાથે ચૂંટણી પંચને પત્ર લખ્યો અને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ કરી હતી.
બાપુએ કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણી લડવાનો નથી. લોકસભાની ચૂંટણીમાં પોતાની ભૂમિકાને સ્પષ્ટ કરતા શંકરસિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને આપેલા વચનોમાં નિષ્ફળ ગયા છે. આ સરકારની સ્થિતિ વિમાન જેમ નોસ ડાઉન થઈને પડે તેમ એ પરિસ્થિતિમાં પહોંચી ગઇ છે અને દેશમાં મતદારોએ એનડીએની સરકારને હરાવવા માટે નિર્ણય કરી લીધો છે. રાષ્ટ્રીય કક્ષાએ તેઓ ભાજપની વિરૂદ્ધમાં ભાજપ વિરોધી તમામ રાજકીય પક્ષો એક મંચ પર આવે તેવા પ્રયાસો કરી રહ્યાં છે.
લોકસભાની ચૂંટણીમાં વિપક્ષો સ્થાનિક કક્ષાએ એકબીજાની સામે ચૂંટણી લડશે તો પણ ભાજપ વિરોધી પક્ષોની 300 બેઠકો આવશે અને વિપક્ષો એકમંચ પર આવીને વડાપ્રધાન કોણ બને તેનો નિર્ણય કરશે. લોકસભાની 2019ની ચૂંટણીમાં ભાજપ કે એનડીએ કોઈકાળે જીતવાના નથી.
એનડીએની નહીં પરંતુ યુપીએની જેમ મોરચાવાળી સરકાર આકાર લેશે અને તે માટેના જે કાંઈ પ્રયાસ કરવા પડે તે હું કરીશ. ભાજપ અને એનડીએને પરાજિત કરવા માટે કોંગ્રેસને જરૂર પડે તો સમર્થન આપવાની પણ તૈયારી કરી લેવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ ભાજપની વિરૂદ્ધમાં મહાગઠબંધન મોરચો રચાય તેવા પ્રયાસો કરી રહ્યાં છે.
શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં એનસીપીને રિવાવઈ કરશે એવી ધારણા ઉપર તેમણે કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. પાટીદાર અનામત અંગે તેમણે કહ્યું કે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની અનામત આપવા અંગેની દાનત નથી એક તરફ સુપ્રિમે ૫૦ ટકાથી વધુ અનામત ન રાખવાનું જ્યારે સ્પષ્ટ જણાવેલું છે ત્યારે બધે લોલીપોપ આપવાનો કોઇ અર્થ નથી. બંધારણની જોગવાઇઓમાં રહીને કેન્દ્ર સરકાર પોતાની છે ત્યારે કાયદો બનાવવો જોઇએ. સબરીમાલાની જેમ કાયદો બની શકે,આઅંગે પણ દાનત હોય તો તે કરી શકાય તેમ છે.
હાર્દિક અંગેના પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર સામે અન્યાય માટે લડતા કોઇ પણ દુઃખી માણસ સાથે મારી સંવેદના,સહાનુભૂતી છે જ પછી તે ગમેતે હોય.