કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ રાત્રે 9-30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નિધનને કારણે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો એરપોર્ટ પર તેમનું સાદગીપૂર્ણ રીતે સ્વાગત કરશે. તેમના આગમનને પગલે ગુજરાતમાં કંઈક નવાજૂની થાવના એંધાણ વર્તાઈ રહ્યા છે.
અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન ભાજપના નેતાઓ સાથે રૂપાણીના મંત્રીમંડળમાં ફેરફાર થવાની ચર્ચા કરી શકે છે. ત્યારે તેમની ગુજરાત મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. તેઓ રાત્રે 9-30 કલાકે અમદાવાદ એરપોર્ટથી સીધા તેમના નિવાસ સ્થાને જશે. જ્યાં ભાજપના ટોચના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજી શકે છે.
આ બેઠકમાં વિધાનસભાની સાત બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી મુદ્દે ચર્ચા થઈ શકે છે. તો આવતીકાલે 29 ઓગસ્ટે સવારે 10 વાગ્યે અમદાવાદમાં સાયન્સ સિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિલિયન ટ્રી કાર્યક્રમમાં હાજરી આપશે. આ સ્થળે તેઓ ગુજરાતની પ્રથમ બેટરી સંચાલિત એએમટીએસ બસને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.
બપોરે ત્રણ વાગ્યે ગાંધીનગરમાં ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણને લઈ રાજ્યના તમામ કલેક્ટરો સાથે બેઠક કરશે. સાંજે 5 વાગ્યે ગાંધીનગરમાં પંડિત દિનદયાલ યુનિવર્સિટીમાં પદવાન સમારોહમાં હાજરી આપશે.