જ્ઞાનવાપી મસ્જિદ કેસ વચ્ચે મહારાષ્ટ્રમાં નવો વિવાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ દાવો કર્યો છે કે પૂણે શહેરમાં બે દરગાહ મંદિરની જમીન પર બનાવવામાં આવી છે. તાજેતરમાં જ મુંબઈમાં ઔરંગઝેબની કબર પર પણ સવાલો ઉભા થયા હતા. જે બાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ સ્મારકને 5 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
રવિવારે, MNS મહાસચિવ અજય શિંદેએ કહ્યું કે તેમણે ‘પુણ્યેશ્વર મુક્તિ’ અભિયાન શરૂ કર્યું છે અને લોકોને રાજ ઠાકરેની પાર્ટીને સમર્થન આપવા અપીલ કરી છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો ઉલ્લેખ કરતા શિંદેએ કહ્યું કે રાજ ઠાકરેના હિંદુત્વના સ્ટેન્ડ પર સરકારની ઉંઘ ઉડવા લાગી છે. તેમણે કહ્યું, ‘જ્ઞાનવાપીની જેમ અમે પણ પુણેના પુણ્યેશ્વર મંદિર માટે લડી રહ્યા છીએ.’
MNS નેતાએ દાવો કર્યો છે કે ખિલજી વંશના કમાન્ડર અલાઉદ્દીન ખિલજીએ પુણેમાં પુણ્યેશ્વર અને નારાયણેશ્વર મંદિરો તોડી પાડ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મંદિરો તોડી પાડ્યા બાદ તેમની ઉપર દરગાહ બનાવવામાં આવી હતી.
થોડા દિવસો પહેલા, MNS પ્રવક્તા ગજાનન કાલેએ એક ટ્વિટ દ્વારા સ્મારક પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેને નષ્ટ કરી દેવી જોઈએ. આ પછી ઔરંગાબાદમાં એક મસ્જિદ કમિટીએ કબરને તાળું મારવાનો પ્રયાસ કર્યો. બાદમાં એએસઆઈએ સ્મારક પર વધારાના ગાર્ડ તૈનાત કરીને સુરક્ષા વધારી દીધી હતી.
ખાસ વાત એ છે કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અકબરુદ્દીન ઓવૈસી કબર પર પહોંચ્યા હતા. તેમની મુલાકાતની શિવસેના દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી, જે મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહા વિકાસ અઘાડીનો ભાગ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે મહારાષ્ટ્રમાં આવા કૃત્યોથી નવો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.