ભાજપના ટોચના નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહને ‘ગુજરાતી ઠગ’ કહેનારા અને ભાજપે ‘પ્રધાનમંત્રી’ પસંદ કર્યા છે કે ‘પ્રચારમંત્રી’ એવા સવાલ કરનારા લખનૌ સ્થિત ભાજપના એક વરિષ્ઠ નેતા આઈ. પી. સિંહને પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને જ્યારે ભાજપના પૂર્વ પ્રવક્તા આઈ. પી. સિંહે ભાજપના ટોચના નેતાઓ પર પ્રહાર કર્યા ત્યારે તેની સાથે તેમણે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની આઝમગઢથી ઉમેદવારી માટે પ્રશંસા પણ કરી હતી. એટલું જ નહીં, તેમણે અખિલેશને ચૂંટણી પ્રચાર કાર્યાલય તરીકે પોતાના ઘરનો ઉપયોગ કરવાની ઓફર પણ કરી દીધી હતી.
દરમિયાન ભાજપના એક નિવેદનમાં જણાવાયું હતું કે, ‘ભાજપ પ્રદેશ પ્રમુખના નિર્દેશ સાથે આઈ. પી. સિંહને છ વર્ષ માટે પાર્ટીમાંથી હટાવી દેવાયા છે.’ ટ્વીટર હેન્ડલ પર પોતાના નામ આગળ ‘ઉસુલદાર’ લખનારા આઈ. પી. સિંહે ટ્વીટર પર ભાજપના નેતાઓ પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું, ‘હું સિદ્ધાંતવાદી ક્ષત્રિય પરિવારમાંથી છું. બે ગુજરાતી ઠગોએ હિન્દીભાષી લોકોને છેલ્લા પાંચ વર્ષથી મૂર્ખ બનાવ્યા છે, જ્યારે અમે મૌન રહ્યા હતા.’ તેમણે કહ્યું હતું, ‘આપણું યુપી ગુજરાત કરતાં છ ગણું મોટું છે અને ગુજરાતની ૧.૧૫ લાખ કરોડની અર્થવ્યવસ્થાની સામે યુપીની અર્થવ્યવસ્થા ૫ લાખ કરોડની છે. આવી સ્થિતિ હોય તો તેઓ ખાતા શું હશે અને વિકાસ શું કરતા હશે?’
અન્ય એક ટ્વીટમાં આઈ. પી. સિંહે લખ્યું હતું, ‘આપણે ‘પ્રધાનમંત્રી’ ચૂંટ્યા છે કે ‘પ્રચારમંત્રી’? શું દેશના વડાપ્રધાન ટી-શર્ટ અને ચાના કપ વેચતા દેખાય એ યોગ્ય છે?’ તેમણે કહ્યું હતું, ‘ભાજપ એવી પાર્ટી છે કે જેણે પોતાની વિચારધારાથી લોકોનાં હૃદયમાં સ્થાન મેળવ્યું છે. મિસ્ડ કોલ અને ટી-શર્ટ્સથી કાર્યકર્તાઓનું ‘ઉત્પાદન’ કરવું અશક્ય છે.’ આઝમગઢના વતની આઈ. પી. સિંહે રવિવારે અખિલેશ યાદવની આઝમગઢ ખાતેથી ઉમેદવારીને આવકારી હતી. તેમણે ચૂંટણી કાર્યાલય તરીકે પોતાના ઘરનો ઉપયોગ કરવા માટે પણ ઓફર કરી હતી. એક ટ્વીટમાં તેમણે પીએમને સંબોધીને લખ્યું હતું, ‘મને માફ કરજો મોદીજી! હું આંખે પટ્ટી બાંધીને તમારા ચોકીદાર તરીકે કામ કરી શકીશ નહીં.’