પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ બુધવારે વડા પ્રધાન સાથે બેઠક કર્યા બાદ મિડિયા સાથે વાત કરતાં હતાં ત્યારે એક પત્રકારે તેમને શારદા કૌભાંડ વિશે સવાલ કરતાં એ નારાજ થયાં હતાં અને કહ્યું હતું કે આ મુદ્દે મારે જે કહેવાનું હતું એ અગાઉ કહી ચૂકી છું. હવે મને આવા સવાલો પૂછવા નહીં…
તેમણે એમ પણ કહ્યું હતું કે હું જ્યારે જ્યારે દિલ્હી આવું છું ત્યારે દેશના ગૃહ પ્રધાનને પણ મળતી હોઉં છું. ગૃહ પ્રધાન મને સમય ફાળવશે તો ગુરૂવારે હું ગૃહ પ્રધાન અમિત શાહને મળવાની છું.
જો કે ગૃહ પ્રધાન સાથે કયા મુદ્દાની ચર્ચા કરવાનાં છે એ વિશે મમતાએ કોઇ સ્પષ્ટતા કરી નહોતી. તેમણે એવો દાવો કર્યો હતો કે વડા પ્રધાન સાથે મેં મારા રાજ્યના વિકાસ સિવાય કોઇ વાત કરી નથી. એનઆરસી વિશે પણ કોઇ મુદ્દો ચર્ચાયો નથી. જો કે એનઆરસીની જોગવાઇ મારા રાજ્યમાં લાગુ પડતી નથી.