ઝઘડા અને શંકાના તણાવમાંથી ઉદ્ભવેલો ઘરકંકાસનો ભયંકર અંત
રાજકોટના વેલનાથપરા વિસ્તારમાં રવિવારે મળેલી મહિલાની લાશને આધારે શરૂ થયેલી તપાસે શહેરમાં હલચલ મચાવી હતી. 32 વર્ષીય સ્નેહા આસોડિયાની હત્યા થયેલી હાલતમાં લાશ મળતા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ઘટનાને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. માત્ર બે જ દિવસમાં પોલીસે મહત્વના પુરાવા મેળવી લીધા હતા અને સ્નેહાની હત્યા તેના જ પતિ હિતેશ આસોડિયાએ કરી હોવાનો ખુલાસો કર્યો હતો.
બે દિવસમાં બે હત્યાઓથી શહેરમાં ચકચાર
શહેરમાં 15 નવેમ્બરે નાગેશ્વર વિસ્તારમાં તૃષા પઢિયારની પતિએ હત્યા કરતાં સમગ્ર શહેર હચમચ્યું હતું. તેના પડઘમ હજી શાંત થયા નહોતા કે 22 નવેમ્બરે ફરીથી પતિ દ્વારા પત્નીની હત્યાનો કેસ સામે આવ્યો. હિતેશ આસોડિયાએ પોતાની પત્ની ક્યાંક ઘરેથી ચાલી ગઈ હોવાનું નાટક રચી પરિવારને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી અને ટેકનિકલ પુરાવા આધારે આ કહાણીને ખોટી સાબિત કરી હતી અને ગુનો ખુલ્લો પાડ્યો હતો.
સીસીટીવી અને ઇન્ટેલિજન્સે ખોલી નાખ્યો આખો ગુનો
જ્યાં લાશ મળી હતી તે વિસ્તાર અને સ્નેહાના ઘરની આસપાસના અનેક સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. ફૂટેજમાં સ્નેહા રાત્રે પોતાના ઘરેથી બહાર નીકળતી જોવા મળી હતી. હિતેશે બનાવેલી કહાણી અને પોલીસને મળેલા પુરાવામાં તફાવત દેખાતા શંકા મજબૂત થઈ હતી. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સે સ્પષ્ટ કર્યું કે હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ હિતેશે જ કરી હતી. પૂછપરછ દરમ્યાન તેણે આખી ઘટના કબૂલ કરી દીધી હતી.
ઝઘડા અને તણાવમાંથી જન્મેલુ ખૂનનું કૃત્ય
પ્રાથમિક પૂછપરછમાં હિતેશે જણાવ્યું કે લગ્નજીવનમાં સતત ઝઘડા થવાથી તણાવ વધી રહ્યો હતો. સ્નેહા નાની-નાની બાબતોમાં રિસાઇ જતી અને તેને વારંવાર ફોન કરીને શંકા વ્યક્ત કરતી હતી. શનિવારે થયેલા ઝઘડામાં ગુસ્સામાં આવી હિતેશે સ્નેહાને બહાર જમવા લઈ જવાના બહાના બનાવી બોલાવી હતી. બાદમાં અવાવરું જગ્યાએ લઈ જઈ લોખંડના રોડ વડે હુમલો કરીને તેની હત્યા કરી હતી. હત્યા બાદ પોતાના ઘરના કામકાજ સામાન્ય રીતે કરતાં એની ગેરહાજરીનું નાટક કરવાનું ચાલુ રાખ્યું હતું.
હત્યા બાદ પણ અફસોસ નહીં, ચારિત્ર્યમાં ચોંકાવનારા ખુલાસા
ક્રાઈમ બ્રાન્ચે હિતેશના કપડાં અને તેના વાહન પરથી લોહીના ચિત્તા મેળવી લેવાતા કેસ વધુ મજબૂત બન્યો હતો. પૂછપરછમાં હિતેશે જણાવ્યું કે પત્નીથી છૂટકારો મળ્યો એવી લાગણી હતી અને તેને કોઈ પસ્તાવો નહોતો. સ્નેહાના અગાઉના લગ્ન છૂટાછેડાથી સમાપ્ત થયા હતા જ્યારે હિતેશના પણ એક વખત છૂટાછેડા થઈ ચૂક્યા હતા. આ ઘરકંકાસ વચ્ચે તેમના બે વર્ષના દીકરાને બંને માતા-પિતાના સ્નેહ વગરનું જીવન મળ્યું છે, જે સૌથી દુઃખદ પાસા તરીકે સામે આવ્યું છે.

