આજકાલ યુવાનોમાં નશાનો ક્રેઝ વધી રહ્યો છે અને પાયમાલ થઈ રહયા છે ત્યારે હવે ગાંજો,ચરસ, એમડી ડ્રગ્સ બાદ આયુર્વેદિક સિરપના નામે નશાનો કારોબાર વધી રહ્યાનું ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને આવતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચના બાદ રાખેલી વોચ દરમિયાન રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે પાંચ ટ્રક ભરેલી શંકાસ્પદ સિરપની 73 હજાર બોટલનો જથ્થો કબ્જે લઈ આલ્કોહોલનું પ્રમાણ જાણવા FSLની મદદ લીધી છે.
પોલીસે બાતમીના આધારે હુડકો વિસ્તારમાં નાગરિક બેન્ક ચોક પાસે સર્વિસ રોડ પર માધવ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં શંકાસ્પદ રીતે પડેલી પાંચ જેટલી ટ્રકની તલાસી લીધી હતી. એમાંથી શંકાસ્પદ ગણાતી સિરપની 73275 બોટલ મળી આવી હતી. આ પછી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતાં એમાંથી ગીતાંજલિ દ્રાક્ષાસવ સ્પેશિયલ હેલ્થકેર આયુર્વેદિકની 11950 બોટલ, ઉસીરસવ અસવ અરીસ્ટા હેલ્થકેર આયુર્વેદિકની 20325 બોટલ, અસ્વસ્વ બીટવીન ધ બ્રેઈન એન્ડ અધર પાર્ટ ઑફ બોડી હેલ્થકેર આયુર્વેદિકની 9150 બોટલ, કાલ મેઘસવ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 21225 બોટલ તેમજ ક્ધકાસવ હેલ્થકેર આયુર્વેદિકની 1000 બોટલ, ઉપરાંત ગાર્ગમ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 9625 બોટલ મળી કુલ 73275 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.73,27,500 જેટલી થવા જાય છે.
પોલીસે હાલ આ સિરપમાં આલ્કોહોલનું પ્રમાણ છે કે કેમ એની ખરાઈ કરવા માટે સેમ્પલ મેળવી એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે અને એની સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની પણ મદદ લેવામાં આવી છે, જેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે