હાલ સેંકડો યુવાનો રોજગારી નહી મળતા બેરોજગાર છે અને નોકરી શોધી રહયા છે ત્યારે બીજીતરફ રાજ્યસભાના ભાજપના સાંસદ રામભાઇ મોકરિયાએ નિવેદન આપ્યું છે કે નોકરી કરવી હોયતો ઘણી છે અને ક્યાંય બેરોજગારી જેવું નથી.
દેશ અને ગુજરાત રાજ્યમાં બેરોજગારી નથી, ઘણા કામ છે, ઘરે કામવાળી અને ઓફિસમાં પટાવાળા મળતા નથી, ખુરશી ટેબલવાળી નોકરી જોઇતી હોય તેમની વાત અલગ છે બાકી રોજગારીનો પ્રશ્ન છે જ નહીં.
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાયેલા રોજગાર મેળામાં તેઓએ આ મુજબ નિવેદન આપ્યું હતું.
રાજકોટમાં રેલ મંત્રી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં યોજાયેલા રોજગાર મેળામાં 203 લોકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં 174 પોસ્ટ વિભાગના અને 29 એઇમ્સ સહિતના અન્ય વિભાગમાં નિમણૂક આપવામાં આવી હતી.
જોકે, રોજગારી મુદ્દે સાંસદ રામભાઇ મોકરિયાએ આપેલા નિવેદનને લઈ બેરોજગાર યુવાનોમાં નારાજગી જોવા મળી હતી.