રાજકોટ સિવિલ હોસ્પિટલના એક રેસિડેન્ટ અને ત્રણ ઈન્ટરની ડોક્ટરોએ ભેગા મળી વોર્ડ નં.10માં દાખલ કરવામાં આવેલા બિનવારસ વૃદ્ધા દર્દીને વોર્ડની બહાર ફેંકી દેવાની ઘટના એ ભારે ચકચાર જગાવી છે.
વિગતો મુજબ મોરબીના વતની હસીનાબેન હુલ્લાભાઇ માલસ (ઉ.વ.60) બીમાર તેઓને શુક્રવારે સાંજે 6.30 વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
શનિવારે વહેલી સવારે વોર્ડના રેસિડેન્ટ ડોક્ટર આકાંક્ષાએ વૃધ્ધાને વોર્ડ બહાર ખસેડી દેવા આયાબેન વંદનાબેનને સુચના આપતા વૃદ્ધાને વ્હીલચેર પર બેસાડી દીધા હતા અને ત્રણ ઈન્ટર્ની ડોક્ટરે તે વ્હીલચેર વોર્ડની બહાર નવી હોસ્પિટલ સામે લઈ જઈ ત્યાંના બાકડાં પર વૃધ્ધાને ફેંકી ત્રણેય જતા રહ્યા હતા. હલીચલી પણ નહીં શકતા વૃધ્ધાને આ ડોક્ટરોએ રજિસ્ટર પર જાતે ભાગી ગયાનું દર્શાવી બેશરમીની હદ વટાવી દીધી હતી.
જોકે,આ મામલે હોબાળો થતા અને સીસીટીવી ફૂટેજ સામે આવતા સત્ય હકીકત બહાર આવતા તબીબી અધિક્ષક પોતે ચોંકી ઉઠ્યા હતા અને જવાબદારો સામે કાર્યવાહી શરૂ કરી છે.
બિનવારસ અને મૃત્યુ પથારીએ પડેલા કોઇ વ્યક્તિને જ્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે કેટલાક ડોક્ટર્સ તેમની સારવાર કરવાને બદલે તેમને વોર્ડની બહાર ફેંકવાના ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે, શનિવારે સવારે મોરબીના વૃદ્ધાને બહાર ફેંકી દેવાયા હતા તે પહેલા ગત તા.30ના સવારે એક સાધુ જેવા પ્રૌઢને પણ વોર્ડની બહાર હોસ્પિટલ સ્ટાફ ફેંકી આવ્યા હતા અને કલાકો સુધી એ પ્રૌઢ બહાર પડ્યા રહ્યા હતા અંતે તેમને પણ કોઇ જાગૃત નાગરિકે ફરીથી દાખલ કરાવ્યા હતા.
આમ,દયા વગરના નિષ્ઠુર બની ગયેલા આવા તબીબોની જાણે માનવતા મરી પરવારી છે.
સરકારી હોસ્પિટલ એ જનતાના ટેક્સના નાણાંથી ચાલે છે અને જે તબીબો અહીં કામ કરે છે તેઓને પણ જનતાના પૈસે પગાર મળે છે તેમ છતાં જનતાની સુખાકારી માટે બનાવેલી હોસ્પિટલમાં ગરીબોને હેરાન કરવામાં આવી રહયા છે ત્યારે આવા બેજવાબદારોને હોસ્પિટલમાંથી તગેડી મુકવા માંગ ઉઠવા પામી છે.