રાજકોટમાં ચોમાસુ શરૂ થતાં જ શરદી-ઉધરસના 318, તાવના 78 અને ઝાડા-ઊલટીના 82 કેસ નોંધવા સાથે ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 13, મેલેરિયાના 7 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાતા
રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે અને વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 20થી 26 જૂન દરમિયાન 18,839 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 144 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હીકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગીંગ કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ આનંદનગર ક્વાર્ટર, ભકિતનગર પોલીસ સ્ટાફ ક્વા., જયરાજ પ્લોટ, ભિલવાસ, પંચાયતનગર, જ્યોતીપાર્ક (જામનગર રોડ), દાદી પાર્ક, માસ્તર સોસા., ગુલાબનગર, કોઠારીયા કોલોની, કિરણ પાર્ક, બાબરીયા કોલોની તથા આસપાસના ક્વાટર્સ, પરમેશ્વર પાર્ક, પુજા પાર્ક, રામેશ્વર પાર્ક, વગેરે વિસ્તારોને ફોગિંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
મચ્છર ઉત્પતિ બદલ 874 વ્યક્તિને નોટિસ અપાઇ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર-ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર વ્યક્તિ સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ બદલ નોટિસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે.
આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 798 બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટીપ્લોટ, ધાર્મિકસ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરીએ મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ બદલ 874 વ્યક્તિને નોટિસ આપવામાં આવી હતી,આમ,હવે મહાનગર પાલિકા દ્વારા કામગીરી શરૂ થઈ છે.