રાજકોટ મનપામાંથી વિપક્ષ નેતાનું કાર્યાલય ખાલી કરવા આદેશ થતાં તેના ઘેરા પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે અને આ મામલે કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે આ ખોટું કહેવાય પણ હવે અમે RMCનાં બગીચામાં બેસીશુ અને લોકપ્રશ્નો સાંભળશુ.
રાજકોટ મનપામાંથી વિપક્ષ નેતાનું કાર્યાલય ખાલી કરવા આદેશ બાદ
વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી અને કોઁગ્રેસ નેતા અશોક ડાંગરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપના શાસકો દ્વારા કાર ભલે પરત લેવામાં આવે પરંતુ અમારું કાર્યાલય ચાલુ રાખવું જોઈએ. આ માટે મેયરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. છતાં જો કાર્યાલય ખાલી કરાવી કોઈ જગ્યા આપવામાં નહીં આવે તો વિપક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો સહિતના નેતાઓ RMCનાં બગીચામાં બેસી લોકોના પ્રશ્નો સાંભળશે.
પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા અશોક ડાંગરે શાસકો પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે,ઉપરીઓને ખુશ કરવા માટે વિપક્ષ પદ છિનવી લીધું છે.
ભૂતકાળ યાદ કરાવતા તેમણે રાજકોટ ભાજપના પીઢ નેતા ચીમનભાઈ શુક્લને પણ યાદ કર્યા હતા. તેમના સમયમાં વિપક્ષને જરૂરી સુવિધા અપાઈ હોવાનું કહ્યું હતું અને ભાનુબેન સોરાણીએ અલગ અલગ ભાજપની ફાઈલો કાઢી એટલા માટે વિપક્ષ નેતાનું પદ લઈ લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો.
ભાનુબેને ફાઈલો ખોલી હોવાથી તેનો અવાજ દબાવવા પ્રયાસ
અશોક ડાંગરે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ સમિતિ આખેઆખી બરખાસ્ત કરવામાં આવી તે ફાઈલો ભાનુબેને ખોલી હોવાથી તેમનો અવાજ દબાવવા કાર્યાલય ખાલી કરાવવામાં આવ્યું હોવાનું કહી RMCનાં બગીચામાં બેસી લોકોના પ્રશ્નો હલ કરવા માટે તૈયારી દર્શાવી હતી.
રાહુલ ગાંધીની જેમ કોંગી કાર્યકરો પણ સુવિધા વિહોણા થઇ રહ્યા છે. આ અંગે સેક્રેટરી વિભાગ દ્વારા મનપા કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાનો હોદ્દો, તેમનું કાર્યાલય તેમજ કાર સહિતની સુવિધા પરત ખેંચવાનો પત્ર લખવામાં આવ્યો છે
તાજેતરમાં જ જૂનાગઢ કોર્પોરેશનમાં વિપક્ષ નેતાનું પદ છીનવાયા બાદ રાજકોટમાં પણ વિપક્ષ નેતાનું પદ પરત લેવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યની સંખ્યા માત્ર બે રહી છે ત્યારે નવી ટર્મના બે વર્ષ બાદ મુખ્ય વિપક્ષ કોંગ્રેસનો સુવિધા સાથેનો દરજજો રદ્દ કરવા શાસક ભાજપે નિર્ણય લઇને પત્ર તૈયાર કરી લીધો છે. અને સેક્રેટરી દ્વારા આ પત્ર મ્યુનિ.કમિશ્નરને મોકલવામાં આવતા તેમણે પણ કાર્યાલય અને કાર પરત કરવા વિપક્ષનાં નેતા ભાનુબેન સોરાણીને લેખિત આદેશ કરતા રાજકોટના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે.