(સૈયદ શકીલ દ્વારા): જસદણ વિધાનસભાની ચૂંટણી રસપ્રદ તબક્કામાં આવી પહોંચી છે. કુંવરજીને જીતાડવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી તો દીધું પણ સામા પક્ષે કોંગ્રેસના છકડા ચલાવનાર ઉમેદવારને લઈ કુંવરજી ટેન્શનમાં આવી ગયા હોય એમ લાગે છે. વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યા, અને મંત્રી પદ મેળવવાની લહાયમાં ભાજપમાં ગયા અને ભાજપમાં ગયા પછી માત્ર કલાકમાં મંત્રી પદ મેળવી પણ લીધું.
એક તરફ ભાજપના નેતાઓ દાવો કરે છે કે જાતિવાદી રાજકારણ કરતાં નથી તો કુંવરજી બાવળીયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવી તકવાદી રાજકારણનો પરિચય આપ્યો છે. જસદણ-વીંછીયા વિધાનસભાની પેટાચૂંટણીને એક રીતે જોઈએ તો ભાજપ કોંગ્રેસ કરતાં કોંગ્રેસ વર્સીસ કોંગ્રેસ વધારે લાગે છે. કુંવરજીની ઓડિયો ક્લિપ બહાર આવ્યા બાદ ભાજપ દ્વારા શરૂ કરાયેલું ડેમેજ કન્ટ્રોલ પણ કામ કરી રહ્યું નથી. અને જે પ્રકારે પાંચ વિધાનસભાના એક્ઝિટ પોલ આવ્યા છે તે જોતાં તેની અસર જસદણની પેટાચૂંટણીમાં પડ્યા વગર રહેવાની નથી.
કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયા એક સમયે જસદણમાં છકડો રીક્ષા ચલાવતા હતા. બાદમાં તેઓ સામાજિક કાર્યો કરતા ગયા અને રાજકારણમાં સક્રીય થયા, તાલુકા અને જિલ્લા પંચાયતના મેમ્બર બન્યા અને હવે સીધા વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. કોળી સમાજ માટે વિચારવાનો સમય છે કે છકડા ચલાવનારને જીતાડવો કે પછી સત્તા માટે પક્ષપલટો કરનારી વ્યક્તિને?
કુંવરજી માટે બેનીફીટ એ છે કે હાલ તેઓ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે. કોળી સમાજના મોભાદારો તેમની સાથે છે. જ્યારે અવસર નાકીયા ગામનાં પોલિટીક્સમાં જ રચ્યા-પચ્યા રહ્યા છે. કોંગ્રેસ પાસે આઠ દાવેદારો હતા પરંતુ કોંગ્રેસે અવસર નાકીયાની કોળી સમાજના હોવાથી પસંદગી કરી તો દીધી છે પરંતુ બાવળીયાની સામે બાથ ભીડવા માટે અવસર નાકીયાની છકડાની ડ્રાઈવરી જ કામે આવી રહ્યો છે.
જસદણમાં હાલની સ્થિતિ જોતાં એવું ચિત્ર ઉપસે છે કે ભાજપની સ્થાનિક નેતાગીરી અને પ્રદેશ નેતાગીરી ઉપરાંત પાટીદાર, ઓબીસી અને ખાસ કરીને રબારી, આહીર,કાઠી, દરબારો, રાજપૂત, દલિત અને મુસ્લિમ મતદારોમાં આ વખતે ખાસ્સા એવા ભાગલા જોવા મળી શકે છે. કુંવરજી બાવળીયનો વધુ પડતો આત્મવિશ્વાસ , લોહાણા સમાજની નારાજગી તેમજ ફંડ મેનેજમેન્ટ, રૂપિયાલક્ષી રાજકારણ, અને પાર્ટી બદલુની ઈમેજના કારણે કુંવરજી માટે કપરા ચઢાણ કહી શકાય એમ છે.
ખરી રીતે છકડાના ડ્રાઈવર અને પાર્ટી બદલુની લડાઈ છે. ભાજપની અંદરોઅંદરની ફાટફૂટ, વર્ષો જૂના કાર્યકરો અવહેલના, સવારે કોંગ્રેસમાંથી આવેલાને સાંજે મંત્રી બનાવી દેવાની બાબત ભાજપના પાયાના કાર્યકરોને પ્રચારથી દુર કરતી જઈ રહી છે. હાલનું ગણિત જોઈએ તો બાવળીયાનો 7000થી 16000ની વચ્ચે પરાજય થઈ શકે છે એવું જાણકારો જણાવી રહ્યા છે.
અવસર નાકીયા માટે જમા પાસું એ પણ છે કે કોંગ્રેસના તમામ જૂથો એક થયેલા દેખાય છે. ભીખુભાઈ બાંભણીયા, ઈન્દ્રનીલ રાજગુરુ દ્વારા શરૂ કરાયેલું કુંવરજી હરાવો અભિયાન કોંગ્રેસને જીતાડવા માટેનો જેકપોટ સાબિત થઈ શકે છે.