જિલ્લાના જેતપુર નજીક એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરેલીના વાડિયાના પરિણીત પ્રેમી યુગલે સમાજ તેમને એક થવા દેશે નહીં તેવા ડરથી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બંનેના મૃતદેહ થાણાગાલોલ ગામ પાસે આવેલા સુરવો ડેમના કિનારેથી મળી આવ્યા હતા. બંનેએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના જેતપુર નજીક સુરવો ડેમના કિનારેથી એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. સમગ્ર મામલાની જાણ રાજકોટ જિલ્લાની ગ્રામ્ય પોલીસને થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામાની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી. પંચનામા પૂર્ણ થયા બાદ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
છોકરાનું નામ શૈલેષ વિઠ્ઠલભાઈ મકવાણા અને છોકરીનું નામ જ્યોત્સના ઉર્ફે કિંજલ મનસુખભાઈ મકવાણા છે. પરિવારજનોને સમગ્ર મામલાની જાણ થતાં બંને મૃતકના પરિવારજનો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ એ વાત પણ સામે આવી છે કે બંને પરિણીત છે. આ સાથે એ વાત પણ સામે આવી છે કે બંનેના લગ્ન જીવન દરમિયાન બાળકો પણ છે. મૃતક યુવકના સંતાનોમાં એક પુત્રી પણ છે. જ્યારે મૃતક યવુતિના સંતાનમાં બે પુત્રો છે. આ રીતે બંનેના મોતથી એક પુત્રીએ પિતા ગુમાવ્યા છે. જ્યારે બે પુત્રોએ માતા ગુમાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મૃતક શૈલેષ રાજકોટ નજીક શાપર વેરાવળમાં નોકરી કરતો હતો. બંનેને ડર હતો કે તેઓ એક જ જાતિના હોવાથી સમાજ તેમને એક થવા દેશે નહીં. જેના કારણે બંનેએ સાથે મરવાનો નિર્ણય લીધો હતો.