રાજકોટમાં ગરમી કહેર વર્તાવી રહી છે. આજે મંગળવારે આકરા તાપ અને લૂના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. શહેરના શાસ્ત્રીનગરમાં રહેતા આધેડ ગરમીના કારણે બેભાન થઈ ગયા હતા. બાદમાં તેમનું મોત નિપજ્યું હતું. ઉપરાંત લૂ તથા ભેજના કારણે લોકોએ અસહ્ય બફારો સહન કરવો પડી રહ્યો છે.
રાજકોટમાં ગરમી ફરી ખોંખારીને મેદાનમાં ઉતરી આવી છે. સોમવારે ૪૩.૭ ડિગ્રી તાપમાન બાદ મંગળવારે ૪૨ ડિગ્રી તાપમાન વચ્ચે પણ આકરી ગરમીનો અહેસાસ થયો હતો. મંગળવારે લોકોને અસહ્ય બફારા તથા લૂનો સામનો કરવો પડ્યો હતો.
સોમવારે રાજકોટમાં ગરમીથી એક મહિલાનું મોત થયું હતું. બાદ મંગળવારે પણ શહેરના શાસ્ત્રીનગરમાં રહેતા ફાલ્ગુન વિનુભાઈ વોરા (ઉ.૪૫) ગરમીના કારણે બેભાન થઈ ગયા હતા. બાદમાં તેમનું મોત નિપજ્યું હતું. આમ રાજકોટમાં ગરમીએ બે દિવસમાં બે લોકોનો ભોગ લીધો છે.