ગુજરાતમાં હાલ વિકટ જળ સંકટનો પ્રશ્ન ઘેરાયેલો છે. દિવસેને દિવસે પાણીના પોકારો ઉઠી રહ્યા છે અને રાજકોટ સહિત સૈારાષ્ટ્રમાં ઠેર ઠેર પાણીના પોકાર ઉઠી રહ્યા છે. તો બીજી બાજુ લાખો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જ્યાં એક એક બુંદ માટે લોકો તરસી રહ્યા છે, તો ક્યાંક બાબુઓની મીલીભગતના કારણે લાખો લીટર પાણી વ્યર્થ જઇ રહ્યું છે.
હાલ આવો એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં હાલ નર્મદાની પાણીની લાઇમમાં લીકેજ થયું છે, જેના કારણે લાખો લીટર પાણી બગડી રહ્યું છે. હાલ ઉનાળામાં સોના જેટલું જ અમૂલ્ય પાણીનો વેડફાટ બાદ સંદેશ ન્યૂઝે વારંવાર અહેવાલ રજૂ કર્યા હતા, ત્યારબાદ અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને નર્મદાની લાઇનમાં લીકેજ સ્થળે પહોંચ્યા હતા.
રાજકોટ નજીક ગવરીદડ ગામે નર્મદાની કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણી નદીમાં વહી ગયું હતું. એક તરફ પાણીની તંગી પ્રવર્તી રહી છે ત્યારે લાખો લીટર પાણીનો આ રીતે બગાડ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેનાલમાં ભંગાણ થતા તાત્કાલિક અસરથી પમ્પિગ બંધ કરી દેવામાં આવ્યું છે.
કેનાલમાં થયેલા ભંગાણને રિપેર કરતા 24 કલાક જેટલો સમય લાગશે તેવું જાણવા મળ્યું છે. લાખો લીટર પાણીના વેડફાટથી અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પર અસર પહોંચી છે.