રાજકોટ નજીક 1400 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે. હિરાસર ખાતેના ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લગભગ 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે અને ટૂંક સમયમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હિરાસર એરપોર્ટ આવતા મહિને એપ્રિલમાં શરૂ થઈ શકે છે. એરપોર્ટના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવશે.
હાલમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનું બોક્સ એલિવેટર, રનવે, પાર્કિંગ, ટેક્સી ટ્રેક, એપ્રોન અને કોમ્યુનિકેશન બિલ્ડિંગ સહિતનું 100 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત બાઉન્ડ્રી વોલનું કામ પણ 90 ટકા સુધી પૂર્ણ થઈ ગયું છે. જમીન લેવલિંગની કામગીરી પણ ચાલુ છે અને લગભગ 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં એરપોર્ટના રનવે અને અન્ય કામગીરીનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા ઉદ્ઘાટનની તારીખ જાહેર કરવામાં આવશે.
થોડા દિવસો પહેલા કલેકટરે એરપોર્ટની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને વિવિધ વિભાગોને જરૂરી સૂચનો આપ્યા હતા. જાન્યુઆરી મહિનામાં જ કેન્દ્રીય સચિવ સહિતનો કાફલો રાજકોટ આવ્યો હતો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે પણ હીરાસર ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટની મુલાકાત લીધી હતી અને એરપોર્ટ પર ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી. હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કામાં 3 કિમી રનવેનું કામ પૂર્ણ થયું છે. એપ્રોન, ટેક્સી વાનનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. રનવે પર લેન્ડિંગ લાઈટો લગાવવામાં આવી છે અને ફાયર સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે છે.