મારી વિધાનસભા બેઠક…મારો મત.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ રાજકીય પાર્ટીઓ તરફથી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે, તેવા માહોલમાં ‘ સત્ય ડે’ ન્યૂઝ પરથી દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિધાનસભા બેઠકો વિશેની સચોટ અને વિસ્તૃત માહિતી મેળવીશું.
(68) રાજકોટ શહેર પૂર્વ વિધાનસભા બેઠક
રાજકોટને સૌરાષ્ટ્રના રાજકારણનું પાટનગર ગણવામાં આવે છે, આ શહેરે ગુજરાતને અત્યાર સુધી ત્રણ મુખ્યમંત્રીઓ આપ્યા છે.
રાજકોટ શહેર આજે મોટર એન્જિન મેન્યુફેકચરીંગ અને સ્પેર પાર્ટ્સ ઉદ્યોગનું હબ બન્યું છે, આ ઉપરાંત મેડિકલ-સારવાર ક્ષેત્રે અને સૌરાષ્ટ્રના શૈક્ષણિક હબ તરીકે છેલ્લા કેટલાક વર્ષોથી ઉભરી રહ્યું છે.
કેવો છે રાજકીય ઇતિહાસ :
વર્ષ 1962 માં પ્રથમ વિધાનસભા ચુંટણી વખતે રાજકોટ એક જ વિધાનસભા બેઠક હતી, વર્ષ 1967માં રાજકોટ 1 અને રાજકોટ 2 એમ બે બેઠકો અસ્તિત્વમાં આવેલી, ત્યારબાદ 1975માં ત્રીજી બેઠક રાજકોટ ગ્રામ્યની (SC) ની રચના થયેલી.
વિધાનસભાની પ્રથમ ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર આ સીટ પરથી જીત્યા હતા, ત્યારબાદ ક્રમશઃ ભારતીય જનસંઘ, અને કોંગ્રેસના ઉમેદવારોએ આ સીટ પરથી જીત મેળવેલી.
રાજકોટ પૂર્વ બેઠક પર છેલ્લી ચાર ટર્મથી ભાજપના ઉમેદવારો જીતતા આવ્યા છે, અત્યાર સુધીમાં ભાજપ કુલ 6 વાર જ્યારે કોંગ્રેસે 4 વાર જીત મેળવી છે.
શું છે આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ/પ્રશ્નો.
રાજકોટ શહેરમાં મુખ્યત્વે પાણીનો પ્રશ્ન હંમેશાથી સળગતો રહ્યો છે, આઝાદી કાળથી અત્યાર સુધી પાણી મુદ્દે પૂર્ણ રીતે સમાધાન થઈ શક્યું નથી, પાણીની અછતને પહોંચી વળવા માટે સ્પેશિયલ ટ્રેન દ્વારા પાણી વિતરણ કરવામાં આવેલું તેવું આ શહેરે જોયું છે.
મહાનગરપાલિકા અને વિધાનસભાની બેઠકો પર એકસમયે કોંગ્રેસનો દબદબો હતો, જ્યારે હાલમાં આ બંને સ્થાનો પર ભાજપનો દબદબો છે, તેમ છતાં પ્રજાના આ પાયાના પ્રશ્ને પૂર્ણ રીતે સમાધાન થઈ શક્યું નથી.
આ ઉપરાંત ગટર વ્યવસ્થામાં સુધારની માંગ હોય, કે પછી સૂચક સોસાયટીઓને કાયદેસર કરવાની માંગણીઓ… આ ઉપરાંત માનવરહિત ફટકો, નાના ઔધોગિક એકમોના વિકાસ જેવા અનેક પાયાના મુદ્દાઓ રહ્યાં છે, જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી અમુક સુખદ નિરાકરણ પણ આવ્યું છે.
કેવું છે જ્ઞાતિઓનું ગણિત.
રાજકોટ પૂર્વ બેઠકની જૂની સીમાઓ પ્રમાણે પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે, જેમાં ખાસ કરીને લેઉઆ પટેલ સમાજના મતદારો બહોળી સંખ્યામાં હતાં, જ્યારે આ બેઠકની હાલની નવી સીમાઓ પ્રમાણે પાટીદાર સમાજનું પ્રભુત્વ ઘટયું છે, અને OBC સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકામાં આવ્યાં છે.
સૌથી વધારે કોળી સમાજના મતદારો, ત્યારબાદ આહિર, દલિત, પટેલ, અને પ્રજાપતિ સમાજના મતદારોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે. આ જ્ઞાતિઓનો ચુંટણી સમયે ઝુકાવ રાજનીતિના નવા સમીકરણો બનાવવાની તાકાત ધરાવે છે.
હાલમાં આ બેઠક પરની રાજનૈતિક પરિસ્થિતિ.
રાજકોટ પૂર્વ બેઠક વર્ષોથી ભાજપ તરફ રહી છે, જ્યાં હાલમાં ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી છે.
જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ બેઠક પર ચૂંટણી જીતી ચૂક્યા છે, અને એટલે જ હવે અહીંના સમીકરણો બદલાયા છે.
આ બેઠક પર કૉંગ્રેસની હાલત આમ પણ દયનીય સ્થિતિમાં છે, જ્યારે કોંગ્રેસના જ કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, ઉપરાંત આ બેઠકના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર વશરામ સાગઠીયા પણ આપમાં જોડાયા છે ત્યારે આમ આદમી પાર્ટી પણ આગામી ચૂંટણીઓમાં આ બેઠક પર મજબૂતીથી લડત આપશે તે ચોક્કસ છે.