ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની સહાયથી સતાધાર ધામમાં બાયોગેસથી ચાલે અન્નક્ષેત્ર, રોજ 10 હજાર લોકોને ભોજન
જૂનાગઢ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર ધામ હવે માત્ર તેની પરંપરાગત સંધ્યા આરતી માટે જ નહીં, પરંતુ વૈકલ્પિક ઊર્જાના ક્ષેત્રમાં પણ આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યું છે. આપા ગીગાની આ પવિત્ર જગ્યામાં ગુજરાતનો સૌથી મોટી ક્ષમતા ધરાવતો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. હાલમાં અહીં 85 ઘનમીટર પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા ચાર પ્લાન્ટ સફળતાપૂર્વક ચાલી રહ્યા છે, જ્યારે ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બીજા બે નવા પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. આ પહેલ ધાર્મિક સંસ્થાઓ માટે ઊર્જા બચતનો નવો રાહ ચીંધી રહી છે.
વિશાળ અન્નક્ષેત્રમાં બાયોગેસ દ્વારા તૈયાર થાય છે સાત્વિક ભોજન
સતાધાર ધામમાં અંદાજે એક હજાર જેટલી ગાયોનું પાલન કરવામાં આવે છે, જેના થકી રોજનું 8 હજાર કિલો છાણ એકત્ર થાય છે. આ પશુધનનો ઉપયોગ કરીને ઉત્પન્ન કરવામાં આવતા બાયોગેસની મદદથી જ અહીંનું વિશાળ અન્નક્ષેત્ર ચાલે છે, જ્યાં દરરોજ સરેરાશ 10 હજાર શ્રદ્ધાળુઓ ભોજન લે છે. અગાઉ જ્યારે આ વ્યવસ્થા નહોતી, ત્યારે રસોઈ માટે રોજનું 900 કિલો લાકડું અથવા 10 થી 15 ગેસ સિલિન્ડરનો વપરાશ થતો હતો. હવે બાયોગેસના ઉપયોગથી લાકડાની બચત થતા પર્યાવરણનું રક્ષણ થાય છે અને સંસ્થા રસોઈના બળતણ બાબતે સંપૂર્ણપણે સ્વાવલંબી બની છે.
ગુજરાત સરકારની સબસિડી યોજના અને જેડા (GEDA) નો સહયોગ
રાજ્ય સરકારની ‘ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી’ (GEDA) દ્વારા સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના હેઠળ સતાધાર ધામને વિશેષ સબસિડી પૂરી પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત બિનનફાકીય સંસ્થાઓને પ્લાન્ટ સ્થાપવા માટે કુલ ખર્ચના 75% સુધીની સહાય આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં છાણ અને રસોડાના એંઠવાડ જેવા જૈવિક કચરામાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. ગેસ ઉત્પાદન બાદ વધતી ‘સ્લરી’નો ઉપયોગ સજીવ ખેતી માટે ઉત્તમ નાઈટ્રોજનયુક્ત ખાતર તરીકે કરવામાં આવે છે, જે જમીનની ફળદ્રુપતા વધારવામાં આશીર્વાદરૂપ સાબિત થાય છે.
રાજ્યમાં વૈકલ્પિક ઊર્જાનો વ્યાપ અને ભાવિ આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પ્રદૂષણ મુક્ત અને ટકાઉ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની 193 થી વધુ ગૌશાળાઓ, પાંજરાપોળો અને શૈક્ષણિક સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. વર્ષ 2025-26 માટે સરકારે 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જે અંતર્ગત નવા 60 પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ગતિમાં છે. આગામી વર્ષ 2026-27 માં પણ આટલી જ રકમની જોગવાઈ સાથે વધુ સંસ્થાઓને ઊર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે ગુજરાતને ગ્રીન એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાખશે.

